રિંકુ સિંહ પર પિતાના સપનાનું દેવું: પિતાની છેલ્લી ઈચ્છા હતી, ‘બેટો વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવે’, જાણો રિંકુની ભાવુક સફર

ગરીબી અને સંઘર્ષના દિવસોમાં જે પિતાએ રિંકુને ક્રિકેટર બનવામાં સાથ આપ્યો, તે પિતાનું સપનું પૂરું કરવું એ હવે રિંકુની નૈતિક જવાબદારી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 28 Feb 2026 11:02 AM (IST)Updated: Sat, 28 Feb 2026 11:02 AM (IST)
rinku-singh-now-has-more-responsibility-his-father-wanted-him-to-lift-the-t20-world-cup-trophy

Rinku Singh: ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી ઓળખ બનાવનાર રિંકુ સિંહ આજે એક ભાવુક વળાંક પર ઉભો છે. રિંકુના પિતા ખાનચંદ, જેઓ હંમેશા તેમના પુત્રના માર્ગદર્શક અને સૌથી મોટા ટીકાકાર રહ્યા હતા, તેમનું નિધન થયું છે. પરંતુ જતા-જતા તેઓ રિંકુની આંખોમાં એક એવું સપનું આંજી ગયા છે, જે હવે રિંકુના જીવનનું સૌથી મોટું લક્ષ્ય બની ગયું છે. ખાનચંદ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર ભારત માટે T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતે અને તેને પોતાના ઘરે લાવે.

DPS અલીગઢમાં એ ઐતિહાસિક ક્ષણ

આ કહાનીની શરૂઆત 30 જાન્યુઆરીના રોજ થઈ હતી. અલીગઢની દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) ખાતે T20 વર્લ્ડ કપ ટ્રોફીના પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. રિંકુ સિંહ આ જ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાથી, ટ્રોફીને ખાસ ત્યાં લાવવામાં આવી હતી. આ પ્રસંગે રિંકુના પિતા ખાનચંદ ત્યાં હાજર હતા. જ્યારે તેમણે પોતાની નજર સામે ઝગમગતી વર્લ્ડ કપ ટ્રોફી જોઈ, ત્યારે તેમની આંખોમાં હર્ષની સાથે એક અપેક્ષા પણ હતી. તેમણે તરત જ રિંકુને વીડિયો કોલ કર્યો અને ફોનનો કેમેરો ટ્રોફી તરફ ફેરવતા ગર્વથી કહ્યું હતું કે, "રિંકુ, આ જો… આ ટ્રોફી તારે ઘરે લાવવાની છે." પિતાના આ શબ્દો આજે રિંકુ માટે કોઈ આદેશથી ઓછા નથી.

પિતા: એક કડક કોચ અને સાચા માર્ગદર્શક

ખાનચંદ માત્ર પિતા જ નહીં, પણ રિંકુના પ્રદર્શન પર ઝીણવટભરી નજર રાખનારા એક કડક વિવેચક પણ હતા. તેઓ રિંકુને તેના સારા પ્રદર્શન પર શાબાશી આપતા, પણ જો ક્યાંક ભૂલ થાય તો ફોન પર ઠપકો આપવામાં પણ પાછીપાની કરતા નહીં. ખાનચંદે DPS ખાતે એક કિસ્સો યાદ કરતા જણાવ્યું હતું કે, ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણીની ચોથી મેચમાં રિંકુએ 30 બોલમાં 39 રન બનાવ્યા હતા. જોકે, તે સ્વીપ શોટ રમવા જતાં LBW આઉટ થયો હતો. મેચ પૂરી થયા બાદ ખાનચંદે રિંકુને ફોન કરીને ખખડાવ્યો હતો અને કહ્યું હતું કે, "તે બોલને તું બાઉન્ડ્રીની બહાર ફટકારી શકતો હતો, તો સ્વીપ રમવાની શું જરૂર હતી?" ત્યારે રિંકુએ નમ્રતાથી જવાબ આપ્યો હતો કે, "હા પિતાજી, મારે બોલને ટાઈમિંગ કરવામાં થોડી ભૂલ થઈ ગઈ હતી."

રિંકુ સામે હવે સૌથી મોટો પડકાર

હવે જ્યારે ખાનચંદ આ દુનિયામાં નથી, ત્યારે રિંકુએ પિતાના માર્ગદર્શન અને તેમના ઠપકા વિના મેદાનમાં ઉતરવું પડશે. અત્યાર સુધી રિંકુ જ્યારે પણ પોતાની બેટિંગમાં કોઈ ખામી અનુભવતો, ત્યારે તે પિતાની સલાહ લેતો હતો. હવે તેણે પોતાની આંતરિક શક્તિ અને પિતાએ આપેલા સંસ્કારોના જોરે આગળ વધવું પડશે. ભારતીય ચાહકોને આશા છે કે આગામી વર્લ્ડ કપ મેચોમાં રિંકુ સિંહ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. જો ભારત વર્લ્ડ કપ જીતે અને રિંકુ તેમાં મહત્વની ભૂમિકા ભજવે, તો તે તેના પિતા ખાનચંદ માટે સૌથી મોટી અને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.

ગરીબી અને સંઘર્ષના દિવસોમાં જે પિતાએ રિંકુને ક્રિકેટર બનવામાં સાથ આપ્યો, તે પિતાનું સપનું પૂરું કરવું એ હવે રિંકુની નૈતિક જવાબદારી છે. અલીગઢની ગલીઓમાંથી નીકળેલો આ છોકરો જ્યારે પિતાના કહેવા મુજબ ટ્રોફી ઘરે લાવશે, ત્યારે આખા દેશની સાથે તેના સ્વર્ગસ્થ પિતાનો આત્મા પણ ગૌરવ અનુભવશે.