Premananda Maharaj: વૃંદાવનમાં વસતા પ્રેમાનંદ મહારાજ જાણીતા ભારતીય હિન્દુ ગુરુ છે. ક્રિકેટ જગતથી માંડીને મનોરંજન જગતની સેલિબ્રિટીઓ પણ પ્રેમાનંદ મહારાજના દર્શન માટે વૃંદાવન સ્થિત તેમના આશ્રમમાં આવી ચૂકી છે. આ સિવાય તેમના લાખો અનુયાયીઓ નિયમિત વૃંદાવનમાં તેમને મળવા આવતા રહે છે.
જો કે પ્રેમાનંદ મહારાજ છેલ્લા 19 વર્ષથી પૉલિસિસ્ટિક કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા છે. 2006માં જ તેમની કિડની ડેમેજ થઈ ચૂકી છે. આમ છતાં પ્રેમાનંદ મહારાજ સંયમિત દિનચર્ચા અને રાધારાનીની કૃપાથી પોતાની જિંદગી વીતાવી રહ્યા છે. જો કે અવારનવાર તેમની તબિયત ખરાબ થતી રહે છે. તેમની બીમારીનો એકમાત્ર ઉપાય કિડની ટ્રાન્સપ્લાન્ટ હોવા છતાં પ્રેમાનંદ મહારાજે ક્યારેય તે માટે તૈયારી નથી દર્શાવી.
અનેક હસ્તીઓ પ્રેમાનંદ મહારાજને કિડની ડૉનેટ કરવા રાજી
ગત મહિને જ બૉલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુન્દ્રા સાથે પ્રેમાનંદ મહારાજને મળવા આવી હતી. આ સમયે રાજ કુન્દ્રાએ પોતાની કિડની મહારાજને ડોનેટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેની પહેલા ઈટારસીના આરિફખાન ચિશ્તી અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ તેમજ શાહી ઈદગાહ મામલે અરજકર્તા દિનેશ ફલાહારી બાબાએ પણ પોતાની કિડની ડોનેટ કરવા રાજી હોવા બાબતે પ્રેમાનંદ મહારાજને પત્ર લખ્યો હતો.
એક કિડની રાધા, તો બીજીનું નામ ક્રિષ્ના રાખ્યું
પ્રેમાનંદ મહારાજને નિયમિત ડાયાલિસિસ કરાવવું પડે છે. આમ છતાં મહારાજ પોતાની ભક્તિ અને શક્તિના બળ પર માત્ર રાધારાનીની પૂજા જ નથી કરતાં, પરંતુ નિયમિત સત્સંગ પણ કરતા રહે છે. આટલી તકલીફ વેઠવા છતાં પ્રેમાનંદ મહારાજ પોતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કેમ નથી કરાવતા તેની પાછળ એક મોટું કારણ છે. જે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે.
હકીકતમાં પ્રેમાનંદ મહારાજે પોતાની બન્ને કિડનીઓ રાધા-કૃષ્ણને સમર્પિત કરી દીધી છે. તેમણે પોતાની એક કિડનીનું નામ રાધા, તો બીજીનું નામ કૃષ્ણ રાખ્યું છે. પ્રેમાનંદ મહારાજનું કહેવું છે કે, રાધા રાણી ઈચ્છશે, ત્યાં સુધી જીવિત રહીશું, જ્યારે તે બોલાવશે, ત્યારે જતા રહીશું. આથી તેઓ પોતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવતા.
પ્રેમાનંદ મહારાજ કહે છે કે, તેમણે પોતાનું જીવન શ્રીજીના નામે સમર્પિત કરી દીધુ છે. જે દિવસે શ્રીજી તેમને લેવા આવશે, તેઓ રાજીખુશીથી ચાલ્યા જશે. આ પૃથ્વી પર મારું કશું જ નથી, જે છે તે શ્રીજીનું છે. જ્યારે તેઓ જ લેવા આવશે, તો પછી રડવાનું શું.
જણાવી દઈએ કે, પ્રેમાનંદ મહારાજનું જીવન એક તપસ્યા છે, કારણ તે કેઓ આખા દિવસ દરમિયાન અડધી રોટલી જમવા સાથે નાની લોટી ભરીને જ પાણી પીવે છે. જેનાથી વધારે તેઓ કશું જ ખાઈ કે પી શકતા નથી. જ્યારે પણ તેમને તરસ લાગે, તો તેમના શિષ્યો ભીના કપડાથી તેમના હોંટ લૂછી લે છે. આટલી કપરી સ્થિતિ વચ્ચે પણ તેઓ હંમેશા હસતા રહે છે અને લોકોને જીવન જીવવાની પ્રેરણા આપે છે.
