Premanand Maharaj: ભારતીય સંસ્કૃતિમાં પૂજા-પાઠનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જો સાચા મનથી પૂજા કરવામાં આવે, તો ભગવાન પ્રસન્ન થાય છે અને તેમની કૃપા વરસાવે છે.
આ સાથે જ દરેક જણના મનમાં એક સવાલ સ્વાભાવિક ઉઠે છે કે, ખરેખર ભગવાન આપણું સાંભળે છે અને આપણી સ્થિતિથી વાકેફ છે કે કેમ? જો ભગવાન સાંભળતા હોય અને બધુ જ જોઈ શકતા હોય, તો આપણને કેવી રીતે ખબર પડે?
વૃંદાવનના મહાન સંત પ્રેમાનંદ મહારાજે પોતાના પ્રવજન દરમિયાન ભગવાનને લઈને આ સંકેત વિશે વાત કરી છે. પ્રેમાનંદ મહારાજના જણાવ્યા પ્રમાણે, ભગવાન તરફથી આપણને અનેક સંકેત મળે છે. જેને આપણે નજરઅંદાજ ના કરવા જોઈએ. આ સંકેત થકી જ ભગવાન આપણને એવું બતાવવાનો પ્રયાસ કરે છે કે, તેઓ આપણી આસપાસ જ છે અને આપણે કોઈ પણ વાતની ચિંતા કરવાની જરૂર નથી.
પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે, જ્યારે કોઈ વ્યકિત સાચા મન અને સમર્પણ ભાવથી પૂજા કરે છે, તો ભગવાન ચોક્કસ તેની ભક્તિથી પ્રસન્ન થાય છે. જેનો સંકેત આપણને ઘણી વખત પૂજામાં પ્રગટાવવામાં આવલા દીવાથી મળે છે.
જો દીવાની જ્યોતિ અચાનક ઉપર તરફ ઉઠવા લાગે, તો તે સારો સંકેત માનવામાં આવે છે. ઘણા લોકોને એવું લાગતું હોય છે કે, બે હાથ જોડીને ભગવાનની પૂજા કરતી વખતે આંખોમાંથી આંસુ આવે, તો તે વ્યક્તિના દુઃખ અને નબળાઈની નિશાની છે. જો કે સાવ આવું નથી. જો કોઈ વ્યક્તિ સાથે આવું થઈ રહ્યું હોય, તો તે એ વાતનો સંકેત છે કે, ભગવાનનો હાથ તેમના માથા પર છે.
વધુમાં પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે, જો કોઈ દેવી-દેવતાની તસવીર કે પ્રતિમા પરથી કોઈ ફૂલ નીચે પડે છે, તો તે પણ શુભ છે. આ સંકેત થકી ભગવાન પોતાના આશીર્વાદ આપે છે.
આટલું જ નહીં, જો પૂજા કરતી વખતે અચાનક ઘરમાં કોઈ મહેમાન આવી જાય, તો સમજો ભગવાન કહેવા માગે છે કે, હું તમારી સાથે જ છું અને ગમે તેવી તકલીફ આવે, તો પણ હું તમારો સાથ નહીં છોડું. આમ પણ અતિથિને ભગવાનનું રૂપ જ માનવામાં આવે છે. એવામાં જ્યારે પણ અતિથિ આવે, તો મોં મચકોડ્યા વિના તેમની આગતાસ્વાગતા કરવી જોઈએ.
