Gauri Vrat 2025 Puja Vidhi: ગુજરાતમાં કન્યાઓ અને કિશોરીઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક ઉજવાતું ગૌરી વ્રત દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે અને અષાઢ માસની પૂર્ણિમાના દિવસે તેનું સમાપન થાય છે. આ વર્ષે, ગૌરી વ્રતનો પ્રારંભ 06 જુલાઈ, 2025 ના રોજ થશે અને તેની પૂર્ણાહુતિ 10 જુલાઈ, 2025 ના રોજ થશે. આ પાંચ દિવસીય વ્રતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે.
ગૌરી વ્રત 2025 તારીખ અને સમય (Gauri Vrat 2025 Date and Time)
આ વર્ષે ગૌરી વ્રત 6 જુલાઈ, રવિવારથી શરૂ થઈ 10 જુલાઈ, ગુરુવાર સુધી ઉજવાશે. આ વ્રત ખાસ કરીને કન્યાઓ માટે શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. એકાદશી તિથિ 5 જુલાઈ, શનિવારે સાંજે 6:58 વાગ્યે શરૂ થઈ 6 જુલાઈ, રવિવારે રાત્રે 9:14 વાગ્યે પૂર્ણ થશે. આ પવિત્ર તિથિ પર વ્રત કરવાની વિશેષ પરંપરા અને મહત્ત્વ છે. 8 જુલાઈ, મંગળવારે જયાપાર્વતી વ્રતની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે.
ગૌરી વ્રત પૂજા વિધિ (Gauri Vrat 2025 Puja Vidhi)
- ગૌરી વ્રતના પ્રથમ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા અને વ્રતનો સંકલ્પ લેવો.
- ત્યાર બાદ સ્વચ્છ માટીમાંથી માતા પાર્વતી અને ભગવાન શિવની મૂર્તિઓ બનાવવી.
- એક કળશમાં માટી ભરીને તેમાં જવના દાણા નાખો.
- આ જવને પાંચ દિવસ સુધી નિયમિત પાણી સીંચવામાં આવે છે, જેને જવારા કહેવામાં આવે છે.
- શ્રદ્ધાળુઓ પોતાની ઈચ્છા મુજબ આ વ્રત 1, 3 અથવા સંપૂર્ણ પાંચ દિવસ સુધી રાખી શકે છે.
- આ વ્રત કરનારી કન્યાઓ અને કિશોરીઓ પાંચ દિવસ સુધી મોરાકટ (મીઠા વગરનું સાદું ભોજન) કરે છે, જેમાં ઉપવાસમાં મીઠાનો ઉપયોગ નથી કરતા.
- આ પૂજામાં માતા ગૌરીને લાલ ફૂલ, અશ્વગંધા અને કસ્તુરીના ફૂલ અર્પણ કરવામાં આવે છે.
- ગૌરી વ્રત દરમિયાન દેવી માતાને મોસમી ફૂલો પણ ચઢાવવામાં આવે છે.
- અંતે, વ્રતની કથાનું પાઠ કરવામાં આવે છે, આરતી ઉતારવામાં આવે છે અને દેવીને ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે.
- પાંચમા દિવસે 'ગોર' (માતા ગૌરીની પ્રતિમા) બનાવી તેની પૂજા કરીને મનગમતું વરદાન માંગવામાં આવે છે.
આ વ્રત પાંચ વર્ષની બાળકીઓથી લઈને કિશોરીઓ સુધીની કન્યાઓ દ્વારા ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે, જે ઉત્તમ વરની પ્રાપ્તિ અને સુખી દાંપત્ય જીવનની કામના સાથે જોડાયેલું છે.
