Rahu Gochar 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને એક પાપી અને માયાવી ગ્રહ માનવામાં આવે છે. જે આગામી વર્ષે પોતાની રાશિ બદલશે. રાહુની ખાસ વાત એ છે કે, તે હંમેશા ઉલટી ચાલ ચાલે છે. એટલે કે રાહુ કોઈ રાશિમાં આગળ વધવાની જગ્યાએ તેની પાછળની રાશિમાં જાય છે. અત્યારે માયાવી ગ્રહ રાહુ મીન રાશિમાં છે, જે 2025માં મેષ રાશિમાં જવાની જગ્યાએ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. રાહુના કુંભ રાશિમાં ગોચરની અસર દરેક રાશિઓ પર પડશે, પરંતુ 3 રાશિના જાતકો પર તેની સૌથી વધુ અસર જોવા મળશે.
જ્યોતિષ ગણના મુજબ, રાહુ આગામી 8 મે, 2025ના રોજ સાંજે 5:08 મિનિટે કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જે 5 ડિસેમ્બર 2026 સુધી રહેશે.આમ રાહુ 18 મહિના સુધી કુંભ રાશિમાં રહેશે, જેનો સ્વામી શનિ છે. તો જાણો એ 3 અનલકી રાશિ કઈ છે, જેના પર રાહુના ગોચરની સૌથી વધુ અસર થશે અને તેનાથી બચવા માટે ક્યા ઉપાય અજમાવી શકાય.
કઈ 3 રાશિના જાતકોને રાહુનું ગોચર અશુભ ફળ આપશે? (Rahu Gochar 2025)
મેષ રાશિ: રાહુના કુંભ રાશિમાં ગોચરથી મેષ રાશિના જાતક અશાંત થઈ શકે છે. તેમને વારેઘડિયે ગુસ્સો આવી શકે છે. આ સાથે જ આવકમાં અસ્થિરતા તેમજ આકસ્મિક ખર્ચાના કારણે આર્થિક તંગી થઈ શકે છે. નોકરિયાત વર્ગના જાતકોને પ્રમોશનમાં અડચણ આવી શકે છે. જ્યારે વેપારી વર્ગને નુક્સાન થવાની શક્યતા છે. ધંધાદારી વર્ગને મંદી રહેશે અને દેવું વધી શકે છે. આ સિવાય મેષ રાશિના જાતકોને પરિવારમાં મતભેદ થઈ શકે છે.
કર્ક રાશિ: કર્ક રાશિના જાતકોના જીવન પર રાહુના ગોચરની નકારાત્મક અસર જોવા મળી શકે છે. આ રાશિના જાતકોમાં નિરાશા વધવાની શક્યતા છે. નોકરિયાત વર્ગને કામના સ્થળે સાચવવું પડશે, તેમને સહકર્મી સાથે મતભેદ વધી શકે છે. વેપારી વર્ગના જાતકો હરિફાઈમાં પાછળ રહી જશે. વિદ્યાર્થી વર્ગ ચિંતામાં રહેશે. જ્યારે લગ્નજીવમાં જીવન સાથી સાથેના સબંધો વણસી શકે છે.
મીન રાશિ: આ ગોચરથી મીન રાશિના જાતકોની ઈશ્વર પ્રત્યે આસ્થા ઘટી શકે છે અને તમે નાસ્તિક પણ બની શકો છો. તમારું મન અશાંત રહેશે અને સ્વભાવ ચિડિયો થઈ જશે. ઉદ્યોગ-ધંધામાં પ્રોડક્શન ઠપ્પ થવાની શક્યતા રહેશે. જ્યારે છૂટક વેપારમાં ગ્રાહકો ના મળવાથી આર્થિક સમસ્યા વકરશે. લવલાઈફમાં વિશ્વાસઘાત થઈ શકે છે. આ સાથે જ મીન રાશિના જાતકોને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા જેવી કે માથામું દુખાવો, અનિન્દ્રા અને પાચન સબંધીત રોગ થઈ શકે છે.
રાહુની નકારાત્મક અસર દૂર કરવાના જ્યોતિષી ઉપાય
- જેની કુંડળીમાં રાહુ દોષ હોય, તો તે જાતકને અનુષ્ઠાન અને યજ્ઞ કરાવવાથી લાભ થાય છે
- રાહુ માટે ગોમેદ રાહુનો રત્ન ધારણ કરવાથી પણ સારા પરિણામ પ્રાપ્ત થાય છે.
- રાહુને શાંત કરવા માટે મંત્ર જાપથી પણ ફાયદો થઈ શકે છે. આ માટે તમે 'ॐ रां राहवे नमः' અને 'ॐ भ्रां भ्रीं भ्रौं सः राहवे नमः' મંત્રનો જાપ કરી શકો છો.
- રાહુ દોષ નિવારણ માટે 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો પણ લાભદાયક મનાય છે.
- ગરીબોને દાન કરીને પણ શનિ અને રાહુના પ્રકોપથી બચી શકાય છે.
- એક નારિયેળ અને 11 આખી બદામ કાળા કપડામાં વીંટીને વહેતા જળમાં પધરાવી દેવાથી પણ રાહત મળે છે
- શિવલિંગ પર જળાભિષેક કરવો જોઈએ.
- તામસિક આહાર અને મદિરાપાન બંધ કરી દેવા જોઈએ
