Girnar Lili Parikrama 2025: જૂનાગઢમાં આ વર્ષે લીલી પરિક્રમા 1 નવેમ્બરથી શરૂ થઈ રહી છે અને પાંચ દિવસ સુધી ચાલશે. ભક્તો ગિરનાર પર્વતની આસપાસ કુલ 36 કિલોમીટરનું અંતર કાપી લીલી પરિક્રમા પૂર્ણ કરે છે. ચાલો જાણીએ કે પહેલી ગિરનારની લીલી પરિક્રમા કોણે કરી હતી અને તેની પાછળની લોકવાયકા
એવું માનવામાં આવે છે કે ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિર્વાદ મેળવ્યાનો અનુભવ કરે છે. માન્યતા પ્રમાણે જે કોઈ આ પરિક્રમા કરે છે તે સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે. જેને લઈને લાખો ભક્તો આ પરિક્રમા ચોક્કસથી કરતાં હોય છે. ગિરનાર લીલી પરિક્રમા માત્ર એક ધાર્મિક યાત્રા જ નથી પરંતુ કુદરતના ખોળે જવાનો, તેને માણવાનો એક સાહસભર્યો અનુભવ છે.
પહેલી લીલી પરિક્રમા કોણે કરી હતી
સૌ પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા ભગવાન શ્રી કૃષ્ણએ કરી હોવાનું માનવામાં આવે છે. પુરાણોની કથા અનુસાર બહેન સુભદ્રાના લગ્ન માટે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રથમ પરિક્રમા કરી હતી. પરિક્રમાના ત્રીજા પડાવ બોરદેવીની જગ્યા ખાતે બોરડીના વૃક્ષ નીચે આવેલ માતાજીના મંદિર પાસે શ્રી કૃષ્ણએ બહેન સુભદ્રા અને અર્જુનનાં લગ્ન કરાવ્યા હતા.
અગિયારસથી પૂનમ સુધી ભગવાન શ્રી કૃષ્ણએ જૂનાગઢમાં ગિરનારના જંગલમાં વાસ કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી પરિક્રમા બાદ આ લીલી પરિક્રમા કરવાનું શરૂ થયું હોવાનું માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અહીં રોકાયા હતા ત્યારે 33 કરોડ દેવતાઓએ ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય મેળવવા માટે અહીં તેમની સાથે વસવાટ કર્યો હતો. જેથી જે લોકો પણ પરિક્રમા કરે છે તેમને તેત્રીસ કરોડ દેવતાના આશિર્વાદ મળે છે.
