Dussehra 2025 Fafda Jalebi: દશેરા પર ફાફડા અને જલેબી ખાવાની પરંપરા ખાસ કરીને ગુજરાતમાં ખૂબ પ્રચલિત છે. નવરાત્રીના છેલ્લા દિવસે આખી રાત ગરબા રમ્યા બાદ વહેલી સવારે ગુજરાતીઓ ફરસાણની દુકાને પહોંચી જાય છે અને ફાફડા જલેબીની મજા માણે છે. તેલમાં તળાઈ રહેલા તાજા ફાફડા, પપૈયાની ચટણી સાથે મરચાની લિજ્જત માણવાની કંઈક અલગ જ મજા છે. પણ શું તમને ખબર છે કે દશેરા પર ફાફડા જલેબી કેમ ખાવામાં આવે છે, આવો જાણીએ…
ક્યારે છે દશેરા 2025
દશેરા એ રામની રાવણ પરની વિજય અને સત્યની અસત્ય પરની જીતનો પર્વ છે. હિન્દુ કેલેન્ડર મુજબ દશેરા આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ 1 ઓક્ટોબર બુધવારના રોજ સાંજે 7:01 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 2 ઓક્ટોબર ગુરુવારે સાંજે 7:10 વાગ્યે સમાપ્ત થશે. આ પ્રસંગે જલેબી અને ફાફડા ખાઈને દશેરાની ઉજવણી આનંદ અને ઉજવણીનું પ્રતીક માનવામાં આવે છે.
શ્રી રામ સાથે જોડાયેલી માન્યતા
એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામને શાશકૌલી મીઠાઇ ખૂબ પસંદ હતી. જે હાલની જલેબી જેવી લાગતી હતી. જ્યારે રામે રાવણનો વધ કર્યો ત્યારે અયોધ્યાવાસીઓએ આ મીઠાઈ બનાવીને વિજયની ખુશી મનાવી હતી. ત્યારથી એવી માન્યતા છે કે દશેરાના ઉપવાસનો અંત ચણાનો લોટ (ફાફડા) અને જલેબી ખાવાથી જ થવો જોઈએ. તેથી દશેરાના દિવસે તેમને ભોગ ધરાવવાનો અને પછી પ્રસાદ રૂપે ખાવાનો રિવાજ છે.
વૈજ્ઞાનિક કારણ
દશેરા આસપાસ ચોમાસું પૂર્ણ થઈને ઠંડક શરૂ થાય છે. ચણાનો લોટ અને મસાલાવાળા ફાફડા હળવા ગરમ તાસીરવાળા છે અને શરીરને ઉર્જા આપે છે. જલેબીમાં રહેલી ખાંડ પણ ઊર્જા આપે છે. આ ખોરાક પાચનમાં પણ મદદરૂપ ગણાય છે અને શરદી સામે રક્ષણાત્મક માન્યતા ધરાવે છે.
એવું પણ માનવામાં આવે છે કે સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન વાતાવરણમાં અનેક ફેરફારો થતાં રહે છે. ડબલ સિઝન થવાથી ઘણા લોકોને માઈગ્રેન પણ થતું હોય છે. શરીરમાં સિરોટોરિન તત્વ ઘટી જાય છે. જેના કારણે માઇગ્રેન કે માથામાં તીવ્ર દુઃખાવાની બીમારી થઇ શકે છે. જલેબીમાં ટિરામાઈન નામનું તત્વ હોય છે જે શરીરમાં સેરોટોનિન નામના તત્વને કાબૂમાં રાખે છે અને માઈગ્રેનમાં રાહત આપે છે.
