Republic Day 2026: 26 જાન્યુઆરી, 1950ના રોજ જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું, ત્યારથી આ દિવસને રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવવાની અને વિદેશી મહાનુભાવોને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવાની પરંપરા શરૂ થઈ છે. આ વર્ષે 77મા પ્રજાસત્તાક પર્વે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા મુખ્ય અતિથિ તરીકે ભારત પધાર્યા છે.
કેવી રીતે થાય છે મુખ્ય મહેમાનની પસંદગી?
પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાનની પસંદગી એ માત્ર કોઈ વ્યક્તિનું આમંત્રણ નથી, પરંતુ ભારતની વિદેશ નીતિ અને વ્યૂહાત્મક સંબંધોનું પ્રતિબિંબ છે. તેની પ્રક્રિયા નીચે મુજબ હોય છે:
- યાદી તૈયાર કરવી: સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય સંભવિત મહેમાનોની યાદી તૈયાર કરે છે.
- ઉપલબ્ધતાની તપાસ: સંરક્ષણ મંત્રાલય ખાતરી કરે છે કે પસંદ કરેલા નેતા તે સમયે ઉપલબ્ધ છે કે નહીં.
- અંતિમ નિર્ણય: યાદી તૈયાર થયા બાદ વડાપ્રધાન કાર્યાલય (PMO) મુખ્ય મહેમાન પર અંતિમ મહોર મારે છે. આ પ્રક્રિયામાં મહિનાઓનો સમય લાગે છે.
આ વર્ષના મહેમાનોનું મહત્વ
આ વર્ષે યુરોપિયન યુનિયનના બે શક્તિશાળી નેતાઓની હાજરી ભારત અને યુરોપ વચ્ચેના મજબૂત થતા સંબંધો દર્શાવે છે. 27 જાન્યુઆરીના રોજ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મહત્વની બેઠક યોજાવાની છે, જેમાં વેપાર અને સંરક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાતો થવાની શક્યતા છે.
પરંપરાનો ઇતિહાસ
1950માં જ્યારે પ્રથમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ ત્યારે ઇન્ડોનેશિયાના તત્કાલીન રાષ્ટ્રપતિ સુકર્ણો પ્રથમ મુખ્ય મહેમાન બન્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી ભારત વિશ્વના વિવિધ દેશો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોના આધારે રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રિત કરતું રહ્યું છે.
કર્તવ્ય પથ પર ગૌરવશાળી દ્રશ્યો
આજે પરેડમાં ભારતીય સેનાના જવાનોની શિસ્તબદ્ધ કૂચ અને આકાશમાં વાયુસેનાના લડાકુ વિમાનોની ગર્જનાએ દુનિયાને ભારતની વધતી તાકાતનો પરિચય આપ્યો છે. આ સાથે વિવિધ રાજ્યોની ઝાંખીઓએ ભારતની ‘વિવિધતામાં એકતા’ની કલા અને સંસ્કૃતિના દર્શન કરાવ્યા છે.
