Crime News: આજે ધનતેરસથી દિવાળીના પાંચ દિવસના પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. આજના પવિત્ર પર્વે સોના-ચાંદીના દાગીના ખરીદવા શુભ માનવામાં આવે છે. જેના પગલે સોના-ચાંદીની ઊંચી કિંમતો છતાં લોકો સોનીની દુકાનમાંથી કંઈકને કંઈક વસ્તુની ખરીદી કરી રહ્યા છે. એવામાં ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં પતિએ પોતાની મનપસંદના દાગીના ખરીદવાનો ઈનકાર કરતાં માઠું લાગી આવતા પત્નીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સિરસા કલાર પોલીસ મથકની હદમાં આવતા કરહિયા ગામમાં રહેતા ચંદ્રપાલ યાદવ ઉરઈમાં ઘંટીમાં કામ કરે છે. જ્યારે તેમનો પુત્ર આષુતોષ યાદવ (23) ગામમાં જ ખેતીનું કામ કરે છે. ગત 15 ફેબ્રુઆરી, 2023ના રોજ આષુતોષના લગ્ન કાનપુર દેહાત સ્થિત ઉદનાપુર ગામમાં રહેતા વિરેન્દ્ર યાદવની પુત્રી સાધના ઉર્ફે નેહા દેવી સાથે કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો
લગ્ન બાદ આશુતોષ અને સાધના ગામમાં જ રહેતા હતા. દિવાળીનો તહેવાર આવી રહ્યો હોવાથી પતિ-પત્ની ઘરમાં રંગરોગાનનું કામ કરાવી રહ્યા હતા. જ્યાં શુક્રવારે સાંજના સમયે સાધના ઉર્ફે નેહા દેવીએ રૂમમાં પુરાઈને સાડી વડે ફંદો બનાવીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની જાણ થતાં મોડી રાતે સાધનાના પિયર પક્ષના લોકો પણ દોડી આવ્યા હતા. જેમણે પોતાની દીકરીની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. હાલ તો સ્થાનિક પોલીસે પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે.
પોલીસ પૂછપરછમાં પરિવારજનોએ જણાવ્યું કે, શુક્રવારે સવારના સમયે પતિ-પત્ની વચ્ચે દિવાળીના તહેવારમાં દાગીના સહિત અન્ય સામાન ખરીદવાની બાબતને લઈને ઝઘડો થયો હતો. જે બાદ સાંજે આશુતોષ દૂધ આપવા માટે ડેરીએ જતો રહ્યો હતો. આ દરમિયાન તેની પત્ની નેહાએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. જે બાદ પંખાના હુકમાં પોતાની સાડી બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જ્યારે આશુતોષ ડેરીએથી આવ્યો, તો તેણે પત્ની નેહાને પંખા પર લટકતી જોતા તે હેબતાઈ ગયો હતો. જે બાદ તેણે બૂમાબૂમ કરતાં પાડોશીઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
બીજી તરફ મૃતક નેહાના પિતા અને ભાઈએ પોતાની દીકરીની હત્યા કરીને તેની લાશને પંખામાં લટકાવીને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લવ્યો છે.
