Twisha Sharma case: ભોપાલમાં રહેતી 33 વર્ષીય મોડેલ અને અભિનેત્રી ટ્વિશા શર્માના શંકાસ્પદ મોતનો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. નોએડાની વતની અને પૂર્વ 'મિસ પુણે' રહી ચૂકેલી ટ્વિશાના પરિવાર દ્વારા લગાવવામાં આવેલા હત્યા અને દહેજ ઉત્પીડનના ગંભીર આક્ષેપો બાદ મધ્યપ્રદેશ પોલીસે તપાસ તેજ કરી છે. બીજી તરફ, રિટાયર્ડ જજ સાસુ દ્વારા કરવામાં આવેલા વળતા આક્ષેપો અને નવા સીસીટીવી ફૂટેજ સામે આવતા આ કેસ વધુ પેચીદો બન્યો છે. આ કેસમાં અત્યાર સુધીની સૌથી મહત્વની 5 મોટી અપડેટ્સ નીચે મુજબ છે.
1). સીસીટીવી ફૂટેજમાં નવો વળાંક: સીડીઓ ચઢતી ટ્વિશા અને પતિનો બચાવવાનો પ્રયાસ
ટ્વિશા શર્માના મોત પહેલાના બે નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેનાથી કેસમાં નવો વળાંક આવ્યો છે. પ્રથમ વીડિયોમાં ટ્વિશા તેના સાસરીના ઘરની સીડીઓ ચઢતી જોવા મળી રહી છે. જ્યારે બીજા વીડિયોમાં તેનો પતિ સમર્થ સિંહ તેને હોશમાં લાવવા માટે સીપીઆર (CPR) આપતો દેખાય છે. વીડિયોમાં તે બે વાર પ્રયાસ કરતો જોવા મળે છે અને આ દરમિયાન તેની માતા એટલે કે ટ્વિશાની સાસુ પણ રૂમની બહાર આવતી જોવા મળે છે. ત્યારબાદ અન્ય બે લોકો બેભાન ટ્વિશાને નીચે લઈ જતા દેખાય છે. SIT આ ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
2). ભાગેડુ પતિ સમર્થ પર 10,000 નું ઇનામ અને જામીન અરજી ફગાવી
ટ્વિશાના મોત બાદ તેનો વકીલ પતિ સમર્થ સિંહ સતત ફરાર છે. ભોપાલની અદાલતના જજ પલ્લવી દ્વિવેદીએ સમર્થની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. પોલીસ દ્વારા તેની ધરપકડ માટે 10,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. ડીસીપી ઝોન-2 દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યા છે અને પોલીસની ટીમો સમર્થના લોકેશન ટ્રેક કરીને વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. નોંધનીય છે કે આ બંનેના લગ્ન December 2025 માં મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા થયા હતા.
3). રિટાયર્ડ જજ સાસુના ગંભીર આક્ષેપો: 'તે સંસ્કારી હોવાનું નાટક કરતી હતી'
ટ્વિશાની સાસુ અને રિટાયર્ડ જિલ્લા જજ ગિરીબાલા સિંહે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આઘાતજનક દાવા કર્યા છે. તેમણે જણાવ્યું કે તેમને લાગતું હતું કે ઘરમાં સંસ્કારી વહુ આવી છે પરંતુ ટ્વિશાનું પૂજા-પાઠ કરવું એ માત્ર એક્ટિંગ જેવું હતું. તેમણે આક્ષેપ કર્યો કે ટ્વિશાએ પોતાની મરજીથી એબોર્શન કરાવ્યું હતું અને તેની સાયકિયાટ્રિક ટ્રીટમેન્ટ પણ ચાલી રહી હતી. ગિરીબાલાએ એવો પણ દાવો કર્યો કે ટ્વિશા તેના માતા-પિતા માટે કમાણીનું સાધન હતી અને કદાચ એ વાતનો ગુસ્સો તેમના મનમાં હતો. જોકે, ગિરીબાલાને કોર્ટમાંથી આગોતરા જામીન મળી ચૂક્યા છે.
4). પિતાનું સીએમ આવાસ બહાર પ્રદર્શન: ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ
ટ્વિશાના પિતા નવનિધિ શર્મા છેલ્લા કેટલાક દિવસોથી મુખ્યમંત્રી મોહન યાદવના આવાસ બહાર ન્યાય માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગ છે કે દીકરીનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવે. પિતાનો આક્ષેપ છે કે સમર્થ 'ભેડની ખાલમાં વરુ' જેવો છે અને તેણે હનીમૂન દરમિયાન પણ ટ્વિશા સાથે મારપીટ કરી હતી. પરિવારનું કહેવું છે કે ટ્વિશાના શરીર પર ઈજાના નિશાન હતા અને જે દોરડાથી તેને લટકતી બતાવાઈ છે તે તપાસ માટે મોકલવામાં આવ્યું નથી. તેઓ આ કેસને દહેજ હત્યા ગણાવી રહ્યા છે.
5). સાઉથ ફિલ્મના કો-સ્ટાર અને ડિરેક્ટર આઘાતમાં: 'તે ખૂબ મહેનતુ હતી'
ટ્વિશા શર્માના કરુણ મોતથી તેલુગુ ફિલ્મ ઉદ્યોગ પણ સ્તબ્ધ છે. ટ્વિશાએ જે ફિલ્મમાં કામ કર્યું હતું તેના કો-સ્ટાર દીક્ષિત શેટ્ટીએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે ટ્વિશા અત્યંત સમર્પિત અને મહેનતુ છોકરી હતી. દીક્ષિતના જણાવ્યા મુજબ, ટ્વિશા આગળ અભ્યાસ કરીને માસ્ટર્સની ડિગ્રી મેળવવા માંગતી હતી અને તે જીવનથી ભરપૂર હતી. ફિલ્મના ડિરેક્ટર અભિલાષ રેડ્ડીએ પણ ટ્વિશાના નિધનને દુઃખદ ગણાવ્યું અને કહ્યું કે તે સેટ પર અત્યંત પ્રોફેશનલ અને સાદી વ્યક્તિ હતી. એક્ટિંગની દુનિયા છોડીને તે પોતાના પરિવાર સાથે સ્થાયી થવા માંગતી હતી.
