Lalbaugcha Raja Visarjan: મુંબઈના પ્રતિષ્ઠિત 'લાલબાગ ચા રાજા' ની મૂર્તિનું રવિવારે રાત્રે લગભગ 9:15 વાગ્યે અરબી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું. મહાનગરના દક્ષિણ ભાગમાં આવેલા ગિરગાંવ ચોપાટી ખાતે નિયુક્ત વિસર્જન સ્થળ પહોંચ્યાના 12 કલાકથી વધુ સમય બાદ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
દસ દિવસ આનંદપૂર્વક વિતાવ્યા
મુંબઈના માનીતા દેવ, ભગવાન ગણેશ પોતાના ભક્તો સાથે દસ દિવસ આનંદપૂર્વક વિતાવ્યા પછી, તેમના ઘરે પરત ફર્યા. આ સમયે તેમને વાજતગાજતે વિદાય આપનારા ભક્ત સમુદાયમાં અનંત અંબાણી પણ જોડાયા, જેમણે લાખો મુંબઈકરોની જેમ સડક પર ઉતરીને પ્રેમ, દયા અને આનંદના દેવને વિદાય આપી.
અનંત અંબાણી શોભાયાત્રામાં જોડાયા
અનંત અંબાણી ‘લાલબાગ ચા રાજા’ની શોભાયાત્રામાં જોડાયા અને તેમના આરાધ્ય દેવ પ્રત્યેની અનન્ય ભક્તિ અભિવ્યક્ત કરી. તેઓ વર્ષોથી ‘લાલબાગ ચા રાજા’ના પંડાલમાં નિયમિત દર્શન કરતા રહ્યા છે, અને વારંવાર સિદ્ધિવિનાયકની પદયાત્રા કરીને ભગવાન ગણેશ પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરતા રહ્યા છે.
મુંબઈના એક સામાન્ય રહેવાસીની જેમ આ શોભાયાત્રામાં જોડાઈને અનંત અંબાણી ગિરગાંવ ચોપાટી સુધી વિસર્જન યાત્રાના અંતિમ તબક્કામાં પણ બાપ્પા સાથે હતા. અન્ય બધા ભક્તોની જેમ, તેઓ પણ 2026માં વિઘ્નહર્તાનું સ્વાગત કરવા વધુ એક વર્ષ રાહ જોશે.
મૂર્તિને ઊંડા સમુદ્રમાં લઈ જવામાં આવી
અધિકારીઓએ જણાવ્યું હતું કે ખાસ બનાવેલી મૂર્તિને ઊંડા સમુદ્રમાં લઈ જવામાં આવી હતી અને પોલીસ ટીમની દેખરેખ હેઠળ માછીમારોની હોડીઓ દ્વારા તેને ખેંચીને દરિયા કિનારે એકઠા થયેલા હજારો ભક્તોના જયઘોષ, ઢોલ અને ફટાકડા વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ મૂર્તિ વિસર્જનના સૌથી વિલંબિત કાર્યક્રમોમાંનો એક હતો. સામાન્ય રીતે, 'લાલબાગચા રાજા'ની મૂર્તિનું સવારે નવ વાગ્યા પહેલા દક્ષિણ મુંબઈમાં ગિરગાંવ ચોપાટી નજીક અરબી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે.
