Ram Mandir Trust: અયોધ્યામાં બિરાજિત રામલલાના દિવ્ય ધામ અને 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ'ના સંચાલનને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. અયોધ્યા સ્થિત મણિરામ દાસજીની છાવણી ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ટ્રસ્ટમાં ખાલી પડેલી 3 મોટી જગ્યાઓ પર નવા ચહેરાઓની વિધિવત વરણી કરવામાં આવી છે.
આ નિર્ણયથી રામ મંદિરના આગામી નિર્માણ કાર્યો અને વહીવટી વ્યવસ્થાને નવી ઉર્જા મળશે.
આ 3 દિગ્ગજોના સ્થાને થઈ નિમણૂક
ટ્રસ્ટની વ્યવસ્થા મુજબ, અગાઉ મહત્ત્વની જવાબદારી નિભાવનાર ચંપત રાય, અનિલ મિશ્રા અને સ્વર્ગસ્થ વિમલેન્દ્ર મોહન મિશ્રાના સ્થાન ખાલી પડ્યા હતા. આ ત્રણેય મહાનુભાવોની જગ્યાએ સનાતન ધર્મ અને રામ મંદિર આંદોલન સાથે લાંબા સમયથી જોડાયેલા 3 વિશિષ્ટ વ્યક્તિઓની ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવી છે.
કોણ છે ટ્રસ્ટમાં સામેલ થયેલા ૩ નવા ચહેરા?
મદન મોહન પાંડે (અયોધ્યા)
અયોધ્યાના જાણીતા વિધિશાસ્ત્રી અને વકીલ મદન મોહન પાંડે રામ મંદિરના કાનૂની સંઘર્ષના દિવસોથી જ અદાલતી કાર્યવાહીમાં સક્રિય રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના આગમન બાદ તેમની ક્ષમતાને ધ્યાને રાખીને હાઈકોર્ટમાં એડિશનલ એડવોકેટ જનરલ તરીકે પણ નિયુક્ત કરાયા હતા. તેમનો આ વિશાળ કાનૂની અનુભવ હવે ટ્રસ્ટની કાયદાકીય બાબતોમાં માર્ગદર્શક બનશે.
મહેશ ભાગચંદકા (દિલ્હી)
દિલ્હીના અગ્રણી ઉદ્યોગપતિ મહેશ ભાગચંદકા રામ જન્મભૂમિ આંદોલનના જનક અને VHPના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ સ્વ. અશોક સિંઘલના પરિવાર સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તેઓ 'અશોક સિંઘલ ફાઉન્ડેશન' દ્વારા અનેક સામાજિક કાર્યો ચલાવે છે. 2020માં જ્યારે વડાપ્રધાનના હસ્તે રામ મંદિરનું ઐતિહાસિક ભૂમિપૂજન થયું, ત્યારે મહેશ ભાગચંદકાને જ મુખ્ય યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
નિર્મળા યાદવ (શિકોહાબાદ)
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ (શિકોહાબાદ) ક્ષેત્રના મહિલા અગ્રણી નિર્મળા યાદવ વિશ્વ હિન્દુ પરિષદના નિષ્ઠાવાન કાર્યકર છે. રામ મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાં ચલાવવામાં આવેલા 'સમર્પણ નિધિ અભિયાન' દરમિયાન તેમણે ગ્રાસરૂટ લેવલે અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. ટ્રસ્ટમાં તેમની પસંદગીથી મહિલા પ્રતિનિધિત્વને પણ બળ મળ્યું છે.
ચુસ્ત સુરક્ષા વચ્ચે સંતો-મહંતોની હાજરીમાં નિર્ણય
મણિરામ દાસ છાવણી પર યોજાયેલી આ બેઠક સમયે સમગ્ર વિસ્તારમાં સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસજી મહારાજ, કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદદેવ ગિરીજી, અંતરિમ મહાસચિવ કૃષ્ણ મોહન તેમજ મહંત દિનેન્દ્ર દાસજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ પદાધિકારીઓની સર્વાનુમતીથી ત્રણેય નવા ટ્રસ્ટીઓના નામો પર આખરી મહોર મારવામાં આવી હતી.
