ગુજરાતમાં ભાજપને પછાડવા રાહુલ ગાંધીનો હુંકાર: દાવા અને વાસ્તવિકતા વચ્ચે અંતર કેટલું?

રાહુલ ગાંધીએ સંસદમાં આગામી સમયમાં ગુજરાતમાં ભાજપને પરાસ્ત કરવાનો દાવો કર્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 08 Aug 2026 11:05 AM (IST)Updated: Sat, 08 Aug 2026 11:05 AM (IST)
rahul-gandhi-claim-congress-won-gujarat-election-2027-ground-reality-bjp
Rahul Gandhi File Image

Gujarat Politics News: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં ઊભા રહીને આગામી સમયમાં ગુજરાતમાં ભાજપને પરાસ્ત કરવાનો દાવો કર્યો છે. જોકે, રાહુલ ગાંધીના આ દાવા અને ગુજરાતમાં કોંગ્રેસની પાયાની વાસ્તવિકતા વચ્ચે ઘણું અંતર જોવા મળી રહ્યું છે. રાજ્યમાં કોંગ્રેસનું સંગઠન હાલમાં નબળું અને નિષ્ક્રિય હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કોંગ્રેસના આંતરિક જૂથવાદનો પડકાર

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સંગઠનની શિથિલતાથી નારાજ હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતના કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. રાજ્યના એકમાત્ર કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં ધારાસભ્ય બલદેવજી ઠાકોર, કિરીટ પટેલ અને પૂર્વ ધારાસભ્યોએ પક્ષમાં ચાલતા 'ભીતર ઘાત' એટલે કે આંતરિક સબોટેજને સૌથી મોટી સમસ્યા ગણાવી હતી.

રેસના ઘોડા વિરુદ્ધ વરઘોડાના ઘોડા 

ગુજરાત મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કોંગી નેતાઓને સ્પષ્ટ ચેતવણી આપી અને 'રેસના ઘોડા' અને 'વરઘોડાના ઘોડા' ના ઉદાહરણ આપીને સમજાવ્યું કે, હવે પક્ષમાં માત્ર દોડનારા (સક્રિય) નેતાઓને જ મહત્વ આપવામાં આવશે. તેમ છતાં, સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પડકાર આપ્યાના એક વર્ષ બાદ પણ ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં પાયાના સ્તરે કોઈ મોટો ફેરફાર કે કામગીરી નજરે પડતી નથી.

ભાજપની સક્રિયતા અને 2027 ની તૈયારી 

બીજી તરફ, વર્ષ 2027 ના અંતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે સત્તાધારી પક્ષ ભાજપ અત્યારથી જ સજ્જ દેખાય છે. પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં ભાજપ બૂથ સ્તરથી લઈને પ્રદેશ સ્તર સુધી સંપૂર્ણ રીતે સક્રિય છે અને લોકો સાથે જોડાવાના સતત પ્રયાસો કરી રહી છે. જોકે, ભાજપ માટે પણ યુવા નેતાઓની ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરવો એક પડકાર સમાન રહ્યો છે.

આમ, રાહુલ ગાંધીએ ગુજરાત જીતવાનો વિશ્વાસ તો વ્યક્ત કર્યો છે. પરંતુ, જો કોંગ્રેસે ખરેખર ભાજપને ટક્કર આપવી હશે, તો તેમણે પક્ષમાં ચાલતા જૂથવાદને ડામીને સંગઠનને ફરી બેઠું કરવું પડશે. આમ, રાજકીય વિશ્લેષકોના મતે રાહુલ ગાંધીના દાવા અને જમીની હકીકત વચ્ચે ઘણું અંતર હોવાનું દેખાઈ રહ્યું છે.