India Bangladesh Bilateral Relations: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના તાજેતરના રાજકીય તણાવ વચ્ચે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને સુધારવા માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચાયુક્ત દિનેશ ત્રિવેદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ખાસ અને સકારાત્મક સંદેશ આપતા જણાવ્યું છે કે, ભારતીય વડાપ્રધાન ઈચ્છે છે કે બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનની સૂચિત ભારત મુલાકાત અત્યંત યાદગાર અને ઐતિહાસિક બને.
પીએમ મોદીએ આપ્યો ભવ્ય સ્વાગતનો ભરોસો
ઢાકામાં આયોજિત બિઝનેસ લીડર્સ અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ના પ્રતિનિધિમંડળના સન્માનમાં યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા ભારતીય ઉચ્ચાયુક્ત દિનેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે બંને દેશોના વિકાસ માટે બંને નેતાઓની મુલાકાત અત્યંત જરૂરી છે. તેમણે તારિક રહેમાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી સંપૂર્ણ ખાતરી આપતા કહ્યું કે જ્યારે પણ તેઓ ભારતની ધરતી પર પગ મૂકશે ત્યારે તેમનું ભવ્ય અને અત્યંત આદરપૂર્વક સ્વાગત કરવામાં આવશે, જેના તેઓ હકદાર છે. ઉચ્ચાયુક્તે દિલ્હીમાં પીએમ મોદી સાથે થયેલી બેઠકનો ઉલ્લેખ કરી ઉમેર્યું હતું કે પરસ્પર અને બિનશરતી વિશ્વાસ જ કોઈપણ લાંબા ગાળાના સંબંધોનો સાચો પાયો હોય છે.
ભૂતકાળ ભૂલીને આગળ વધવા અપીલ
દિનેશ ત્રિવેદીએ બંને પડોશી દેશો વચ્ચેના કેટલાક મતભેદોનો સ્વીકાર કરીને અપીલ કરી હતી કે ભારત અને બાંગ્લાદેશ બંને દેશો આકાંક્ષાઓથી ભરેલા છે, જ્યાં લાખો યુવાનો તકો, સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્ય શોધી રહ્યા છે. તેમણે કહ્યું કે હું એમ નથી કહી રહ્યો કે તમે ભૂતકાળને ભૂલી જાઓ, પરંતુ ભૂતકાળને ધ્યાનમાં રાખીને જૂની વાતો અને વિવાદોને પરસ્પર સંવાદ દ્વારા ઉકેલીને આપણે આગળ વધવાની જરૂર છે. એક જ સ્થાને અટકી રહેવાના બદલે સાથે મળીને પ્રગતિ કરવી એ જ બંને દેશોના લોકો અને વ્યાપારિક હિતો માટે ફાયદાકારક સાબિત થશે.
શેખ હસીનાના પ્રત્યાર્પણના મુદ્દે યાત્રા પર અનિશ્ચિતતાના વાદળો
આ સકારાત્મક વાતાવરણ વચ્ચે પણ બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનની ભારત મુલાકાત અંગે હજુ પણ કેટલીક અનિશ્ચિતતાઓ ઊભી થયેલી છે. આગામી 12-13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટ અને સંભવિત દ્વિપક્ષીય બેઠકો અંગે ચર્ચાઓ ચાલુ છે, પરંતુ ઢાકા દ્વારા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની સતત કરવામાં આવી રહેલી માંગણીએ આ પ્રવાસને મુશ્કેલ બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2024 માં હિંસક વિરોધ પ્રદર્શનો બાદ સત્તા ગુમાવ્યા પછી શેખ હસીના ભારત આવી પહોંચ્યા હતા અને હાલ તેઓ ભારતમાં જ આશ્રય મેળવી રહ્યા છે.
આ ઉપરાંત, તાજેતરમાં 5 ઓગસ્ટના રોજ શેખ હસીનાના વર્ચ્યુઅલ મીડિયા સંબોધન સામે પણ બાંગ્લાદેશ સરકારે સખત વાંધો ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે આનાથી બાંગ્લાદેશી નાગરિકોની લાગણી દુભાઈ છે, જે સંબંધો સુધારવાના પ્રયાસોને અવરોધી શકે છે. આમ છતાં, ભારતીય ઉચ્ચાયુક્તના આ તાજેતરના નિવેદનથી બંને દેશોના સંબંધોમાં નવી આશા જગાવી છે.
