Mahakumbh Viral Sadhvi: મહાકુંભ 2025થી વાયરલ થયેલી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, કન્ટેન્ટ ક્રિએટર અને મૉડેલ હર્ષા રિછારિયા (Harsha Richhariya) ફરીથી ચર્ચામાં આવી છે. હકીકતમાં હર્ષાએ સંસારી જીવનનો ત્યાગ કરીને સંન્યાસ લઈ લીધો છે.
હર્ષા રિછારિયાએ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મંગલનાથ સ્થિત ગંગાઘાટ પર મૌની તીર્થ આશ્રમમાં પંચાયતી નિરંજની અખાડાના પીઠાધીશ્વર સુમનાનંદ ગિરિ મહારાજ પાસેથી વિધિવત્ત તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ સંસ્કાર પૂર્ણ કરીને દીક્ષા લઈ લીધી છે.
આ પણ વાંચો
ધાર્મિક અનુષ્ઠાન બાદ સ્વામી સુમનાનંદ ગિરી મહારાજે સાધ્વી બનેલી હર્ષા રિછારિયાને નવું નામ સ્વામી હર્ષાનંદ ગિરી આપ્યું છે. જે બાદ હર્ષાનંદ ગિરીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, આજથી મારા જીવનનો નવો અધ્યાસ શરૂ થવા જઈ રહ્યો છે. મેં ગુરુદેવના માર્ગદર્શનમાં જ સંન્યાસનો માર્ગ અપનાવ્યો છે. આ સાથે જ મેં સંકલ્પ લીધો છે કે, હવે હું મારું સંપૂર્ણ જીવન સનાતન ધર્મ અને સમાજ સેવા માટે સમર્પિત કરીશ.
સંન્યાસ પૂર્વે હર્ષાનો દુલ્હન લુક વાયરલ થયો હતો
સંન્યાસ લીધા પહેલા હર્ષા રિછારિયાની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ હતી. આજથી 4 દિવસ જૂની પોસ્ટમાં હર્ષા રિછારિયા દુલ્હનના લુકમાં જોવા મળી રહી છે. જેની પહેલા એક પોસ્ટમાં હર્ષા હલ્દી સેરેમનીના લુકમાં જોવા મળી હતી.
જણાવી દઈએ કે, હર્ષા રિછારિયાનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના ઝાંસીનો વતની છે. જો કે પાછળથી તેમનો પરિવાર મધ્ય પ્રદેશના ભોપાલમાં શિફ્ટ થઈ ગયો હતો. મહાકુંભ 2025માં હર્ષા રિછારિયાએ મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરી મહારાજની શિષ્યા તરીકે ભાગ લીધો હતો. પ્રયાગરાજ મહાકુંભમાં પીળા વસ્ત્ર, રુદ્રાક્ષની માળા અને માથા પર તિલક લગાવીને નિરંજની અખાડાના સંતો સાથે રથમાં સવાર જોવા મળતાં ભારે ટ્રોલ થઈ હતી.
સૌથી સુંદર સાધ્વી તરીકે વાયરલ થયેલી હર્ષા રિછારિયા સૌશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે. હર્ષા ધર્મ, સમાજ અને આધ્યાત્મ સાથે સંકળાયેલ પોસ્ટ શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામમાં હર્ષાના લગભગ 1. મિલિયન અને ફેસબુક પર 1.57 લાખ ફૉલોઅર્સ છે.
