Makar Sankranti 2026: પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં આજે મકરસંક્રાંતિ સ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. વહેલી સવારથી જ સ્નાન માટે લોકો ઉમટ્યા હતા. મેળા અધિકારી ઋષિરાજે જણાવ્યું હતું કે 14 જાન્યુઆરીની સવારે 6 વાગ્યા સુધીમાં 9.50 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે અને આ આંકડો 1 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. સ્નાન ઘાટો પર ભીડ નિયંત્રણ માટે ટીમો તૈનાત કરવામાં આવી છે.
વારાણસી, અયોધ્યા અને અન્ય સ્થળોએ ઉજવણી
મકર સંક્રાંતિના મહાપર્વ પર વારાણસીના ગંગા ઘાટો પર, ખાસ કરીને દશાશ્વમેધ ઘાટ પર આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું છે. અયોધ્યામાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ વહેલી સવારે સરયૂ ઘાટ પર સ્નાન કર્યું અને વિધિ-વિધાનથી પૂજા કરી. હરિદ્વારમાં ઠંડી હોવા છતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન માટે પહોંચી રહ્યા છે. આ ઉપરાંત ચમોલી સ્થિત આદિબદરી મંદિરના કપાટ, જે લગભગ એક મહિનાથી બંધ હતા, તે મકર સંક્રાંતિના અવસર પર ભક્તોના દર્શન માટે ખોલવામાં આવ્યા છે. મેળા પ્રશાસનનો અંદાજ છે કે મકર સંક્રાંતિના પર્વ પર 2 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે.
આ પણ વાંચો
#WATCH | Prayagraj, UP: Visuals from the ongoing Magh Mela, as a large number of devotees arrive at the Sangam Ghat to take a holy dip on the occasion of Ekadashi. pic.twitter.com/9y05vH12LI
— ANI (@ANI) January 14, 2026
મકર સંક્રાંતિની તારીખ અંગે સ્પષ્ટતા
મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજવવી કે 15 જાન્યુઆરીએ તેને લઈને અસમંજસની સ્થિતિ હતી, પરંતુ જ્યોતિષાચાર્યોએ આ ભ્રમ દૂર કર્યો છે. જ્યોતિષીઓના જણાવ્યા મુજબ 14 જાન્યુઆરીએ રાત્રે 9:39 વાગ્યે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ પર્વ સૂર્યનો હોવાથી ઉદયા તિથિ અનુસાર 15 જાન્યુઆરીએ સૂર્યોદય સમયે સ્નાન અને દાન કરવું શુભ માનવામાં આવશે. 14 જાન્યુઆરીએ ષટતિલા એકાદશી છે, તેથી મકર સંક્રાંતિ 14 અને 15 જાન્યુઆરીએ ઉજવી શકાશે.
