Night Uttarayan: બાકરોલ ગામમાં માત્ર રાત્રે જ ઉડે છે પતંગ, રાત્રી ઉત્તરાયણની પરંપરાનું કારણ શું?

આણંદ જિલ્લાના બાકરોલ ગામમાં દિવસે નહીં, પરંતુ રાતના સમયે પતંગ ઉડાડવામાં આવે છે. આ પરંપરાનો હેતુ જાણો અહેવાલમાં...

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 16 Jan 2026 03:51 PM (IST)Updated: Fri, 16 Jan 2026 03:51 PM (IST)
anand-district-bakrol-village-night-uttarayan-tradition-and-purpose-kites-flown-at-night
HIGHLIGHTS
  • બાકરોલ ગામમાં ચાલી આવતી રાત્રી ઉત્તરાયણની પરંપરા
  • દિવસની જગ્યાએ રાતના સમયે પતંગ ઉડાવતા તમામ લોકો
  • પક્ષી-પર્યાવરણ સુરક્ષા રાત્રી ઉત્તરાયણ ઉજવવાનો મુખ્ય હેતુ

Makar Sankranti 2026: હાલમાં જ ગુજરાતભરમાં મકરસંક્રાંતિનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ ગયો. તમામ ગામ અને શહેરોના આકાશ રંગબેરંગી પતંગોથી રંગીન બની ગયા હતા. જોકે, ગુજરાતનું એક એવું ગામ હતું જેના આકાશમાં ઉત્તરાયણના દિવસે એક પણ પતંગ દેખાઈ નહીં. પરંતુ રાત પડતાની સાથે જ સમગ્ર આકાશ પતંગોથી ભરાઈ ગયું. આ ગામ છે બાકરોલ...

બાકરોલ ગામમાં રાત્રી ઉત્તરાયણની પરંપરા

આણંદ જિલ્લાના બાકરોલ ગામમાં વર્ષોથી રાત્રી ઉત્તરાયણની (Night Uttarayan) પરંપરા ચાલી રહી છે. જ્યાં બધેય સાંજ પડતા ધીરે ધીરે ઉત્તરાયણનો ઉત્સાહ ઓછો થાય છે, બીજી તરફ બાકરોલ ગામમાં સૂર્યાસ્ત થતા પતંગોત્સવનો માહોલ જામે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર બાકરોલમાં દિવસ નહીં, પરંતુ રાતના સમયે પતંગ ઉડાડવામાં આવે છે.

રાત્રી ઉત્તરાયણ ઉજવવા પાછળનું કારણ

રાત્રી ઉત્તરાયણ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ પક્ષી અને પર્યાવરણ સુરક્ષા છે. દિવસ દરમિયાન આકાશમાં ઉડતા પક્ષીઓને કોઈ નુકસાન થાય તે માટે પતંગ ઉડાડવામાં આવતી નથી. જ્યારે રાત્રે પક્ષીઓ પોતાના માળામાં પરત ફરે છે પછી શરૂ થાય છે ઉત્તરાયણની ઉજવણી. દેશ-વિદેશમાં વસતા બાકરોલના નાગરિકો પણ ઉત્તરાયણના દિવસે આ ક્ષણને માણવા અને પરંપરા નિભાવવા પોતાના વતન આવી પહોંચે છે.

અંધકાર વચ્ચે ઝગમગતું બાકરોલ

બાકરોલ ગામના દરેક ઘરના ધાબા પર રાત પડતાની સાથે જ ફ્લડ લાઈટ શરૂ કરવામાં આવે છે, જેનાથી આખું ગામ ઝગમગી ઉઠે છે. રાતના અંધકાર વચ્ચે આકાશમાં ઉડતા સફેદ પતંગોથી એક અદ્ભુત દૃશ્ય સર્જાય છે, જેથી કાળા આકાશે શ્વેત ચાદર ઓઢી હોય તેવું લાગે છે. બાકરોલ ગામ ઉપરાંત આણંદ, વડોદરા અને અમદાવાદ સહિતના આસપાસના જિલ્લાના લોકો અહીં રાત્રી ઉત્તરાયણ માણવા પહોંચે છે.