Methi Seeds Side Effects: ભારતીય રસોઈમાં મેથીના દાણાનું આગવું મહત્ત્વ છે. મોટાભાગના ભારતીયો દાળ કે શાકમાં વગાર કરવા માટે મેથીનો ઉપયોગ કરતા જ હોય છે. મેથી માત્ર વાનગીનો સ્વાદ જ નથી વધારતી, પરંતુ પોષક તત્વોથી ભરપુર મેથીથી સ્વાસ્થ્યને પણ અઢળક ફાયદા થાય છે. મેથીમાં વિટામિન B6, પ્રોટીન, આયરન, ફાઈબર મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જેના પરિણામે મેથી ખાવાથી અનેક બીમારીઓમાં ફાયદો થઈ શકે છે. ડાયાબિટીસથી માંડીને પેટ સબંધિત અનેક સમસ્યા દૂર કરવા માટે મેથીના દાણાનો ઉપયોગ કરવામાં આવે છે.
જો કે બહુ ઓછા લોકો જાણતા હશે, કે મેથીના દાણા સ્વાસ્થ્ય માટે પણ નુકસાન દાયક નીવડી શકે છે. મેથીના દાણાથી ઉધરસ, ઝાડા, નાક બંધ, શરીરમાં સોજા, ગેસ અને પેશાબમાં તીવ્ર દુર્ગંધ જેવી અનેક તકલીફો વધી શકે છે. આટલું જ નહી, કેટલીક સ્વાસ્થ્ય સમસ્યામાં મેથીના દાણા ખાવાથી તકલીફ વધવા માંડે છે. તો ચાલો કોણે મેથી ના દાણા ના ખાવા જોઈએ અને કેમ તેના વિશે વિગતવાર જાણીએ…
ડાયાબિટીસના દર્દી
ડાયાબિટીસના દર્દીઓ માટે મેથી ખાવી ફાયદેમંદ માનવામાં આવે છે, પરંતુ વધારે પડતી ખાવામાં આવે, તો બ્લડ સુગર એકદમ ઘટી શકે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જે લોકો એન્ટી ડાયાબિટીક દવાઓ લેતા હોય, તેમણે ડૉક્ટરની સલાહ પછી જ મેથીના દાણા ખાવા જોઈએ.
પ્રેગ્નેન્ટ મહિલા
પ્રેગ્નેન્ટ મહિલાઓએ પણ વધારે પડતા મેથીના દાણા ખાવાનું ટાળવું જોઈએ. હકીકતમાં મેથીની તાસીર ગરમ હોય છે. આથી વધારે પડતી મેથી ખાવામાં આવે, તો બ્લીડિંગની સમસ્યા થઈ શકે છે. આટલું જ નહીં, પ્રેગ્નેન્સીમાં મેથી ખાવાથી પાચન સબંધિત સમસ્યા જેમ કે ગેસ, ઉબકા જેવી સમસ્યા વકરી શકે છે અને ઘણી વખત ઝાડા પણ થઈ શકે છે.
હાઈબ્લડ પ્રેશરના દર્દી
જો તમે હાઈબ્લડ પ્રેશરની દવા લેતા હોવ, તો તમારે મેથી ખાવાનું ટાળવું જ રહ્યું. હકીકતમાં મેથીમાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે અને તે બ્લડ પ્રેશરનું લેવલ ઘટાડી શકે છે. જો તમે હાઈ બ્લડ પ્રેસરની દવા લેતા હોવ, તો મેથી ખાવાથી તમારું પ્રેશર ઘણું ઘટી શકે છે. જેના પરિણામે તમને લો બ્લડ પ્રેશરની તકલીફ થઈ શકે છે.
