Heart Failure: પથારીમાં પડતા વેંત દેખાય છે હાર્ટ ફેઈલ્યોરના આ લક્ષણો, સાધારણ સમજીને નજરઅંદાજ કરશો તો જીવ ગુમાવશો

જ્યારે વ્યક્તિનું હ્રદય શરીરની જરૂરિયાત મુજબ લોહી પંપ કરવામાં અશક્ત બની જાય, ત્યારે તેને હાર્ટ ફેઈલ્યોર કહે છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 16 Aug 2025 08:26 PM (IST)Updated: Sat, 16 Aug 2025 08:30 PM (IST)
health-tips-in-gujarati-for-heart-failure-symptoms-prevention-and-treatment
HIGHLIGHTS
  • કોવિડ બાદ હાર્ટ ફેઈલ્યોરના દર્દીઓમાં ચિંતાજનક વધારો
  • લાંબા સમય સુધી હ્રદય સબંધિત સમસ્યા રહે, તો હાર્ટ ફેઈલ્યોરનો ખતરો વધી જાય

Heart Failure: આજકાલ રૂપિયા પાછળ આંધળી દોટ મૂકી રહેલો વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યની જોઈએ તેટલી કાળજી લેતો નથી તે વાસ્તવિક્તા છે. અત્યારની ખરાબ લાઈફસ્ટાઈલ, માનસિક તણાવ અને ખાણી-પીણીની ખોટી આદતોના કારણે હાર્ટ સબંધિત સમસ્યાઓનો ખતરો ખૂબ જ વધી ગયો છે, ખાસ કરીને કોવિડ બાદ આવા ગંભીર દર્દીઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જે પૈકી સૌથી મોટો ખતરો હાર્ટ ફેઈલ્યોરનો છે.

જ્યારે વ્યક્તિનું હ્રદય શરીરની જરૂરિયાત મુજબ લોહી પંપ કરવામાં અશક્ત બની જાય, ત્યારે તેને હાર્ટ ફેઈલ્યોર કહે છે. લાંબા સમય સુધી હાર્ટ સબંધિત રોગ રહે, તો હાર્ટ ફેઈલ્યોરનું જોખમ અનેક ઘણું વધી જતું હોય છે. જો કે હાર્ટ ફેઈલ થતાં પહેલા જ શરીર આપણને કેટલાક સંકેત અચૂક આપે છે.

ખાસ કરીને રાતે સૂવાના સમયે આવા સંકેતો વધારે જોવા મળે છે. જો કે મોટાભાગના લોકો આવા સંકેતને સાધારણ સમજીને ઈગ્નોર કરવાની ભૂલ કરી બેસે છે. જેના પરિણામે વ્યક્તિનો મૃત્યુ પણ થઈ શકે છે. એવામાં આજે અમે આપના કેટલાક એવા સંકેતો વિશે વિગતવાર જણાવીશું, જે તમને પથારીમાં પડ્યા બાદ દેખાય છે.

શ્વાસ ચડવો: જો તમે પથારીમાં સીધા સૂઈ રહ્યા હોવ અને તમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે અર્થાત એકદમ શ્વાસ ચડી જાય છે. આ લક્ષણ દર્શાવે છે કે, તમારા ફેફસામાં પાણી ભરાઈ રહ્યું છે. જે હાર્ટ ફેઈલ્યોરનું લક્ષણ છે.

ઉધરસ: જો તમને સૂતા સમયે અચાનક ઉધરસ આવવા લાગે અથવા શ્વાસ લો, ત્યારે ગડગડ અવાજ આવવા માંડે, તો તે પણ હાર્ટ ફેઈલ્યોરનો સંકેત છે. આવું અસ્થમાના કારણે પણ થતું હોય છે અને તે હાર્ટ ફેઈલ્યોરનું લક્ષણ પણ હોઈ શકે છે. આથી તાત્કાલિક તબીબની સલાહ લેવી હિતાવહ છે.

પગમાં દુખાવો: ઘણી વખત આપણે આરામથી પથારીમાં પડીએ, ત્યારે આપણાં પગમાં સોજા અને સાંધામાં દુખાવા જેવું લાગતું હોય છે. આ લક્ષણ પણ હાર્ટ ફેઈલ્યોરનું લક્ષણ હોઈ શકે છે. શરીરમાં જમા ફ્લૂઈડ અર્થાત પ્રવાહી નસોમાં પરત ના જઈ શકે, ત્યારે આવું થતું હોય છે. જે હાર્ટ ફેઈલ્યોરનું કારણ બની શકે છે.

ઊંઘ ના આવે: જો તમે દિવસભરના કામકાજ બાદ થાકીને પથારીમાં પડો, પરંતુ તમને ઊંઘ ના આવે અને આખી રાત પડખા ફેરવ્યા કરો. તેમજ સવારે પણ ઉઠીને થાકનો અહેસાસ રહેતો હોય, તો તે પણ હાર્ટ ફેઈલ્યોરનો સંકેત હોઈ શકે છે. જ્યારે તમારું હાર્ટ શરીરને યોગ્ય રીતે લોહી સપ્લાય ના કરી શકે, ત્યારે આવી સમસ્યા સર્જાતી હોય છે.

પથારીમાં પડ્યા પછી હાર્ટ ફેઈલ્યોરના ઉપર જણાવ્યા પ્રમાણેના લક્ષણો લાંબા સમય સુધી દેખાય, તો સહેજ પણ વિલંબ કર્યાં વિના તબીબની સલાહ અનુસાર મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ.

હાર્ટ ફેઈલ્યોરના કારણો અને બચવાના ઉપાય

ડાયાબિટીશ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ફેમિલી હીસ્ટ્રી પણ હાર્ટ ફેઈલ્યોરના મુખ્ય કારણો છે. જેનાથી બચવા માટે તમારે દરરોજ ઓછામાં ઓછા 40 મિનિટ એક્સરસાઈઝ કરવી જોઈએ. આ સાથે જ જંકફૂડ, તીખુ-તળેલુ ખાવાનું ટાળવું જોઈએ. સ્મોકિંગ અને દારૂની આદતને છોડવી જોઈએ. તેમજ હેલ્ધી ડાયટ લેવા સાથે સ્ટ્રેસ ઓછો લો અને 6 કલાક ગાઢ ઊંઘ લેવી જોઈએ.