Bagasara Natural Agriculture Mall: ગંભીર રોગોનું પ્રમાણ વધતાં સમાજના એક તબક્કામાં પ્રાકૃતિક અને ઝેર મુક્ત ખાદ્ય ચીજ વસ્તુઓની ખાવાના આગ્રહીઓ વધ્યા છે, ત્યારે લોકોને સરળતાથી એક જ જગ્યાએથી પ્રાકૃતિક ઢબે પકવેલી ચીજ વસ્તુઓ મળી રહે તે માટે ખેડૂતોના એક સંગઠને બગસરામાં પ્રાકૃતિક કૃષિ મોલ શરૂ કર્યો છે.
આ પ્રકારની વસ્તુઓ મળશે
આ મોલમાં ઘઉં, હળદર તથા મરચું પાવડર, મગફળીનું તેલ, મગ, તુવેર, ગીર ગાયનું ઘી, સરગવાની સિંગ તથા પાનનો પાવડર વગેરે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત વસ્તુઓ મળી શકશે. આ સાથે સખી મંડળની બહેનો દ્વારા હાથ બનાવટના અથાણાં, પાપડ, સાબુ, શેમ્પુ, હેર ઓઇલ, ફેસપેક વગેરે વસ્તુઓ મળી રહેશે. ઉપરાંત ખેડૂતોને ઉપયોગી વસ્તુઓ અને ઓજારો પણ મળી શકશે.
રાજ્ય સરકારે પણ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે માટે હકારાત્મક અભિગમ સાથે પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ખેડૂતો અને જન આરોગ્યના હિતને ધ્યાને લઈ સતત પ્રાકૃતિક કૃષિની હિમાયત કરી રહ્યા છે, તેના પરિણામે આજે રાજ્યમાં લાખો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. આ મોલ શરૂ કરવા માટે પ્રેરકબળ બગસરાની જ વિશ્વ વાત્સલ્ય માનવસેવા ટ્રસ્ટ અને અમદાવાદની FWWB નામની સંસ્થા રહી છે.
ગ્રામ્ય ઉત્કર્ષ માટે કામ કરતી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટે ખેડૂતોને સંગઠિત કરીને એફ.પી. ઓ. એટલે કે, ફાર્મસ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન બનાવ્યું. ધરતી રક્ષા એગ્રો પ્રોડ્યુસરના નામ હેઠળ નોંધવામાં આવ્યું. હાલમાં આ ખેડૂત સંગઠન સાથે 192 જેટલા ખેડૂતો નોંધાયેલા છે. તેમાંથી મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી છે.
આમ, ધરતી રક્ષા પ્રાકૃતિક કૃષિ મોલથી ખેડૂતોના પ્રાકૃતિક ખેતી ઉત્પાદનોના વેચાણથી ખેડૂતોને પ્રોત્સાહન મળશે. સાથે જ લોકોને ભરોસાપાત્ર ઝેર મુક્ત ખાવાની ચીજ વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહેશે. ઉપરાંત સખીમંડળની બહેનો દ્વારા ઉત્પાદિત થતી વસ્તુઓનું વેચાણ થવાથી બહેનોની સ્વરોજગારીમાં વૃદ્ધિ થશે.
બગસરાના બાળ કેળવણી મંદિરના પરિસરમાં કાર્યરત ધરતી રક્ષા એગ્રો પ્રોડ્યુસર કંપની છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી અને ઝેર મુક્ત ખોરાકની જાગૃતિ માટે મથામણ કરી રહી છે, તેને આગળ વધારીને તારીખ 19 જુલાઈથી બગસરામાં જૂના બસ સ્ટેન્ડ પાસે અને આંખની હોસ્પિટલ સામે ધરતી રક્ષા પ્રાકૃતિક મોલ શરૂ કરવામાં આવ્યો છે.
આ ધરતી રક્ષા પ્રાકૃતિક મોલનો સાધુ સંતો, પૂજ્ય વિવેક સ્વામી, પ્રફુલભાઈ સેંજળીયા, એફપીઓના પ્રમુખ અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના શ્રી દેવચંદભાઈ સાવલીયા, FWWB અમદાવાદના કુલદીપભાઈ દીક્ષિત, એફપીઓના ડાયરેક્ટરઓ, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, સખીમંડળના બહેનો વગેરેની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
