Teacher Day: ડીંગુચા પ્રાથમિક શાળાના શિક્ષિકા જિજ્ઞાસા પ્રજાપતિને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા બદલ 'શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર 2025' થી સન્માનિત કરાશે

જિજ્ઞાસા પ્રજાપતિ એક સંવેદનશીલ માર્ગદર્શક તરીકે શિક્ષણ ક્ષેત્રે ભગીરથ પ્રયત્નો કરીને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 03 Sep 2025 01:27 PM (IST)Updated: Wed 03 Sep 2025 01:27 PM (IST)
dingucha-primary-school-teacher-jignasa-prajapati-will-be-honored-with-best-teacher-award-2025-596572

Gujarat, Best Teacher Award 2025: સૌ બાળકો ભણે, ગણે અને આગળ વધે તે માટે ડીંગુચા પ્રાથમિક શાળામાં વર્ષ-2007થી પ્રાથમિક શિક્ષિકા જિજ્ઞાસા પ્રજાપતિ સતત પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ ડીંગુચા પ્રાથમિક શાળામાં બાળકોને નવીન પદ્ધતિઓ, ટેક્નોલોજી અને શૈક્ષણિક સાધનો આધારિત શૈક્ષણિક કામગીરી કરાવે છે.

બાળકોના ઘડતરમાં અહમ ફાળો આપ્યો

બાળકોનું ભણતર છૂટે નહિ તે દિશામાં કામ કરનાર શિક્ષિકા જિજ્ઞાસા પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે, કોરોનાના સમયમાં જ્યારે શાળાઓ બંધ હતી, ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકે નહીં તે માટે હોમલર્નિંગની સામગ્રી તૈયાર કરી તેમણે સોશિયલ ડિસ્ટન્સ સાથે ભણાવવા તેમના ઘરે જતા હતા. કોરોનાકાળમાં ઓનલાઇન શિક્ષણના માધ્યમથી બાળકોને જોડવા અને તકનીકી સાધનોની મર્યાદા હોવા છતાં દરેક વિદ્યાર્થી સુધી વ્યક્તિગત પહોંચવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો.

આ સમયમાં ગુજરાત રાજ્યના બાળકોને ભણાવવા સમગ્ર શિક્ષા-ગાંધીનગર દ્વારા ધોરણ 1 અને 2 પ્રજ્ઞા વર્ગ, ધોરણ 3 જ્ઞાનસેતુ તથા ધોરણ 3 થી 5 “એક ભારત શ્રેષ્ઠ  ભારત” અને જોયફુલ સેટર-ડે સહિતના એપિસોડ મળી કુલ 77  જેટલા વિડીયો એપિસોડ ડીડી ગિરનાર પર પ્રસારિત કરવામાં આવ્યા હતા.

શાળાને રાજ્યકક્ષાએ ગૌરવ અપાવ્યું

જિજ્ઞાસા પ્રજાપતિએ સરકાર દ્વારા આયોજિત PSE, NMMS, CET, CGMS, જવાહર નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ અભ્યાસક્રમ, પ્રશ્નપત્ર અને પ્રશ્ન સમૂહો તૈયાર કરીને તેમને યોગ્ય દિશામાં અભ્યાસ પણ કરાવે છે. આ શિક્ષિકાએ ભણાવેલા અનેક બાળકો આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. તેમની શાળાના બાળકોને વર્ષ 2007 થી અત્યાર સુધી એટલે કે, છેલ્લા 18 વર્ષથી ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં તાલુકા, જિલ્લા તથા રાજ્યકક્ષા સુધી ભાગ લેવા વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહિત કરવામાં આવે છે. આમ, બાળકોએ વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડાઈને શાળાને તાલુકા, જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ પણ ગૌરવ અપાવ્યું છે.

સમાજલક્ષી શિક્ષણ આપે છે

આ શાળા દ્વારા લોક ભાગીદારી થકી સમાજ સાથે શિક્ષણનું સંતુલિત જોડાણ પ્રસ્થાપિત કરીને અંદાજે રૂપિયા 20 લાખથી વધુ મૂલ્યની રોકડ રકમ અને શાળાને ઉપયોગી તેવી વિવિધ વસ્તુઓનું દાન એકત્રિત કરીને સારા શિક્ષણ માટે ઓરડા, પ્રોજેક્ટર જેવી વિવિધ વસ્તુઓ લાવવામાં આવે છે. આ શિક્ષિકા દ્વારા વ્યસનમુક્તિ તેમજ અંધશ્રદ્ધા નિવારણની મુહિમ ચલાવવામાં આવે છે અને લોકજાગૃતિના કાર્યક્રમ અને નાટક કરવામાં આવે છે. જેથી ગામમાં નાગરિકો અંધશ્રદ્ધાથી દૂર રહીને પોતાની દીકરીને શાળાએ ભણવા મોકલે.

વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષિકા છે

આ શિક્ષિકા દ્વારા મોડ્યુલ લેખનને ધ્યાનમાં રાખીને વિદ્યા પ્રવેશ-શિક્ષક આવૃત્તિ, વિદ્યા પ્રવેશ-વિદ્યાર્થી પ્રવૃત્તિ પોથી, વિદ્યા પ્રવેશ-શિક્ષક પ્રશિક્ષણ મોડ્યુલ, પ્રારંભિક બાળ સંભાળ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ, ધોરણ 3 થી 5 ભાષા,  જીવન કૌશલ્ય જેવા વિવિધ વિષયો માટે વિદ્યાર્થી કેન્દ્રિત મોડ્યુલો તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ધોરણ 3 થી 8 સ્વાધ્યાય પોથીમાં સમીક્ષક તરીકે તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટી-ગાંધીનગરના સહયોગમાં ધોરણ 1 થી 10 સુધીના વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યા છે.

શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરાશે

જિજ્ઞાસા પ્રજાપતિ એક સંવેદનશીલ માર્ગદર્શક તરીકે શિક્ષણ ક્ષેત્રે ભગીરથ પ્રયત્નો કરીને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેમના આ ઉમદા કાર્ય બદલ રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ’ની ઉજવણી દરમિયાન ગાંધીનગરના પ્રતિભાશાળી શિક્ષિકા જિજ્ઞાસા પ્રજાપતિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવશે.