Trump Intervention: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ફરી એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લેતા સાંસદોને પોતાના સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધનમાં જણાવ્યું હતું કે તેમની દરમિયાનગીરીથી બન્ને દેશ વચ્ચે સંભવિત પરમાણું સંઘર્ષ અટકી ગયું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે સ્થિતિ પરમાણું યુદ્ધમાં તબદિલ થાય તેમ હતી. પાકિસ્તાન અને ભારત વચ્ચે પરમાણું યુદ્ધ થઈ ગયું હોત. તેમણે એમ પણ કહ્યું કે જો હું આ યુદ્ધને લઈ દરમિયાનગીરી ન કરી હોત તો પાકિસ્તાનના 3.5 કરોડ લોકો માર્યા ગયા હોત.
તેમણે વારંવાર ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનો દાવો કર્યો છે
ગયા અઠવાડિયાની શરૂઆતમાં ટ્રમ્પે પોતાના દાવાને પુનરાવર્તિત કર્યો હતો કે તેમણે મે 2025માં ભારત-પાકિસ્તાન સંઘર્ષ અટકાવ્યો હતો. બોર્ડ ઓફ પીસના એક કાર્યક્રમમાં બોલતા, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અહેવાલ મુજબ ભારત અને પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો તેઓ તેમના મતભેદો ઉકેલશે નહીં તો વેપાર વાટાઘાટો બંધ કરવામાં આવશે.
તાજેતરના મહિનાઓમાં ટ્રમ્પે 80 થી વધુ વખત દાવો કર્યો છે કે તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષ અટકાવ્યો હતો. તેમણે વિવિધ પ્રસંગોએ સંઘર્ષ દરમિયાન તોડી પાડવામાં આવેલા જેટની સંખ્યા માટે અલગ અલગ આંકડા પણ આપ્યા છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું નથી કે તેઓ કયા પક્ષના વિમાનનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
