યુદ્ધ ચાલે છે અમેરિકા-ઈરાન વચ્ચે અને માઠી બેઠી છે પાકિસ્તાનની, આર્થિક ભીંસના કારણે 'પાકિસ્તાન ડે' ની લશ્કરી પરેડ રદ

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે જાહેરાત કરી છે કે દેશમાં ચાલી રહેલા ભીષણ તેલ સંકટ અને આર્થિક તંગીને કારણે આ વર્ષે 23 માર્ચના રોજ 'પાકિસ્તાન ડે' ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે નહીં.

By: Jagran GujaratiPublish Date: Wed, 18 Mar 2026 01:35 PM (IST)Updated: Wed, 18 Mar 2026 01:52 PM (IST)
pakistan-prime-minister-shehbaz-sharif-announced-pakistan-day-to-be-celebrated-with-simple-flag-hoisting

Middle East Conflict: હાલ અમેરિકા અને ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલાઓ કરી રહ્યું છે. આ અમેરિકા-ઈરાનના યુદ્ધમાં પાકિસ્તાનની માઠી બેઠી છે. પાકિસ્તાનમાં ઓઈલ અને આર્થિક સંકટ ઊભું થયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે જાહેરાત કરી છે કે દેશમાં ચાલી રહેલા ભીષણ તેલ સંકટ અને આર્થિક તંગીને કારણે આ વર્ષે 23 માર્ચના રોજ 'પાકિસ્તાન ડે' ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે નહીં. દર વર્ષે આ દિવસે યોજાતી ભવ્ય લશ્કરી પરેડ અને તેને સંબંધિત અન્ય તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા લેવામાં આવેલા આ કરકસરના પગલાંનો ઉદ્દેશ્ય દેશના ઘટતા જતા વિદેશી હૂંડિયામણ અને સંસાધનોની બચત કરવાનો છે.

માત્ર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે

વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ, 23 માર્ચ 2026 ના રોજ કોઈપણ પ્રકારના જાહેર પ્રદર્શન કે પરેડને બદલે માત્ર યોગ્ય સ્તરે સાદગીપૂર્ણ રીતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજીને દિવસની મર્યાદા જાળવવામાં આવશે. આ નિર્ણય પશ્ચિમ એશિયા અને ખાડી દેશોમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઉભા થયેલા તેલ સંકટના સંદર્ભમાં લેવામાં આવ્યો છે.

પંજાબ પ્રાંતમાં કડક નિયંત્રણો

ઇંધણની અછતને પહોંચી વળવા માટે પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફે અનેક કડક પગલાંની જાહેરાત કરી છે. જેમાં સરકારી મંત્રીઓને મળતા ઇંધણના પુરવઠા પર રોક લગાવી દેવામાં આવી છે અને સરકારી અધિકારીઓના પેટ્રોલ-ડીઝલ ભથ્થામાં 50% નો કાપ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, સંસાધનોના સંચાલન માટે 10 માર્ચ થી 31 માર્ચ સુધી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ રાખવાનો તથા સરકારી કચેરીઓમાં 'વર્ક ફ્રોમ હોમ' નીતિ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.

જનજીવન અને ઉદ્યોગો પર માઠી અસર

પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 55 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. કતારથી આવતા લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) ના શિપમેન્ટ અટકી પડવાને કારણે ઘરોમાં રાંધણ ગેસનો પુરવઠો ખોરવાયો છે. આ અછતને કારણે રમઝાન માસ દરમિયાન સેહરી અને ઇફ્તારના સમયે લોકોને ભોજન બનાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એવિએશન સેક્ટરમાં પણ ઇંધણના ભાવ 670 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી જતા પાઇલટ ટ્રેનિંગ અને કોમર્શિયલ ફ્લાઇટ ઓપરેશન્સ પર જોખમ તોળાઈ રહ્યું છે.

આર્થિક બોજમાં વધારો

પાકિસ્તાનના નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબના જણાવ્યા અનુસાર, વર્તમાન સુરક્ષા સ્થિતિ અને તેલના ભાવ વધારાને કારણે દેશનું માસિક તેલ આયાત બિલ 600 મિલિયન યુએસ ડોલર સુધી પહોંચી શકે છે. આ સંકટમાંથી રાહત મેળવવા માટે પાકિસ્તાન સરકાર હવે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે પેટ્રોલિયમ લેવીમાં રાહત આપવા વિનંતી કરી રહી છે.