Pakistan Politics: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને લગતી અટકળોનો હવે અંત આવી ગયો છે. ઇમરાન ખાન જીવિત છે અને તેમને તેમની બહેન ડૉ. ઉઝમા ખાનને મળવાની પરવાનગી આપવામાં આવી છે. પરવાનગી મળતાં, ઉઝમા ખાન તેમને મળવા માટે જેલ ગયા હતાં. ઇમરાન સાથેની મુલાકાત બીદ ઉઝમાએ ઇમરાન ખાનના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું.
ઉઝમાએ કહ્યું કે ઇમરાન ખાન સ્વસ્થ છે, પરંતુ તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ઇમરાન ખાન હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે અને તેમના પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે. ઇમરાન 2022ની ચૂંટણી હારી ગયા હતા અને ઓગસ્ટ 2023માં તેમને જેલના સળિયા પાછળ મોકલવામાં આવ્યા હતા.
હત્યા થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું
છેલ્લા કેટલાક દિવસોથી ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે અટકળો ચાલી રહી હતી. આ અટકળો ત્યારે વધુ તીવ્ર બની જ્યારે તેમની ત્રણ બહેનો, નૌરીન નિયાઝી, અલીમા ખાન અને ઉઝમા ખાને દાવો કર્યો કે ઇમરાનને મળવાનું કહેતા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
દરમિયાન, ઇમરાનની પાર્ટીના સમર્થકોએ અદિયાલા જેલની બહાર વિરોધ પ્રદર્શનો કર્યાં. પરિણામે પાકિસ્તાન સરકારે રાવલપિંડીમાં કલમ 144 લાગુ કરી દીધી હતી. 1 ડિસેમ્બરે કર્ફ્યુનો આદેશ જારી કરતી વખતે રાવલપિંડીના વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આ નિર્ણય જાહેર સલામતી અને શાંતિના હિતમાં લેવામાં આવી રહ્યો છે.
જેલની બહાર સમર્થકોની મોટી ભીડ
મંગળવાર (2 ડિસેમ્બર)ના રોજ ઇમરાન ખાનના સમર્થકો તેને મળવા માટે એકઠા થવા લાગ્યા. રસ્તાઓ પર વાહનોના કાફલાઓ અદિયાલા જેલ તરફ આગળ વધી રહ્યા હતા. ઘણી જગ્યાએ પોલીસ અને ઇમરાન ખાનના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું.
રાવલપિંડીની અદિયાલા જેલની બહાર, ઇમરાન ખાનના સમર્થકો પાકિસ્તાનના રિવાજોમાં ફેરફારની માંગણી કરતા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તેઓ ઇમરાનને મુક્ત કરો અને ઇમરાન ઝૂકશે નહીં જેવા નારા પણ લગાવી રહ્યા છે.
પીટીઆઈએ શરૂ કરી આરપારની લડાઈ
ઈમરાન ખાનના સમર્થકોએ આખા પાકિસ્તાનમાં આરપારની લડાઈ શરૂ કરી છે. પીટીઆઈના સભ્યોનો આરોપ છે કે સરકાર હવે મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન કરી રહી છે. પહેલા, સરકારે લોકોને દર અઠવાડિયે ઈમરાનને મળવાની મંજૂરી આપી હતી, પરંતુ હવે, કોર્ટની પરવાનગી હોવા છતાં તેમને પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે.
ઈમરાનની બહેનોએ ગયા અઠવાડિયે આ બાબતે ઈસ્લામાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. ઈમરાનની બહેન આલીમાના જણાવ્યા અનુસાર, જેલ વહીવટીતંત્ર તેમના ભાઈના કેસમાં કોર્ટનો તિરસ્કાર કરી રહ્યું છે. પીટીઆઈ સમર્થકોના વિરોધના જવાબમાં, ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં બે અઠવાડિયા માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે.
