Imran Khan Shifted To Adiala Jail: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને PTI ના સ્થાપક ઇમરાન ખાનને ઇસ્લામાબાદની શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવ્યા બાદ પુનઃ રાવલપિંડીની અદિયાલા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશો બાદ ગુરુવારે મોડી રાત્રે તેમને કડક પોલીસ સુરક્ષા વચ્ચે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં નિષ્ણાત ડોક્ટરોની ટીમે તેમના સ્વાસ્થ્યની સંપૂર્ણ તપાસ કરી હતી.
6 સભ્યોની ડોક્ટર્સ ટીમે કરી તપાસ
ઇસ્લામાબાદના પોલીસ મહાનિરીક્ષક સૈયદ અલી નાસિર રિઝવીની દેખરેખ હેઠળ ઇમરાન ખાનને જેલના ગેટ નંબર 1 થી હોસ્પિટલ ખસેડાયા હતા. શિફા હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરો અને તેમના અંગત ચિકિત્સક ડૉ. ફૈઝલ સુલ્તાન ધરાવતા 6 સભ્યોના મેડિકલ બોર્ડે તેમની તબીબી તપાસ કરી હતી. તપાસના અંતે ડોક્ટરોની ટીમે નિર્ણય લીધો હતો કે તેમની હાલત સ્થિર છે અને તેઓ જેલની કસ્ટડીમાં સુરક્ષિત રીતે રહી શકે છે. આ રિપોર્ટના આધારે તેમને મોડી રાત્રે જ અદિયાલા જેલના તેમના સેલમાં પરત મોકલાયા હતા.
વિદેશમાં સારવાર અને આંખની રોશનીનો વિવાદ
બીજી તરફ, સંસદીય બાબતોના મંત્રી તારિક ફઝલ ચૌધરીએ જણાવ્યું હતું કે જો દેશની સરકારી કે સ્થાનિક સુવિધાઓમાં પૂરતી સારવાર શક્ય નહીં બને, તો સરકાર તેમને વિદેશ મોકલવા પણ વિચારશે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી મહિનામાં ઇમરાન ખાનના પરિવારે જેલમાં યોગ્ય સારવાર ન મળતા તેમની જમણી આંખની 85% રોશની જતી રહ્યાનો દાવો કર્યો હતો. જોકે, સરકારે આ દાવાને ફગાવતાં તેમની દ્રષ્ટિમાં 70% સુધારો થયો હોવાનું જણાવ્યું હતું. ઓગસ્ટ 2023 થી જેલમાં બંધ ઇમરાન ખાન માટે તેમની પાર્ટીએ હોસ્પિટલમાં રાખીને જ સતત સારવાર કરવાની માંગણી દોહરાવી છે.
