ભારતીય ક્રૂ પર હુમલો, અમેરિકા સામે ભારતની લાલ આંખ, ફટકાર્યો 'ડિમર્ચ', જાણો શું છે આ રાજદ્વારી પગલું

ભારતનું આ કડક વલણ દર્શાવે છે કે સરકાર પોતાના નાગરિકોની સુરક્ષા અને સમુદ્રી વેપારની અખંડિતતા સાથે કોઈ બાંધછોડ કરવા માંગતી નથી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 10 Jun 2026 11:17 PM (IST)Updated: Wed, 10 Jun 2026 11:21 PM (IST)
indias-strict-stance-demarche-to-america-after-attack-on-ship-know-what-is-the-matter

Oman Coast Ship Attack: ભારત સરકારે પશ્ચિમ એશિયાના સમુદ્રી વિસ્તારમાં વણસી રહેલી સુરક્ષા સ્થિતિ સામે પોતાનું આક્રમક વલણ અપનાવતા એક મોટું કદમ ઉઠાવ્યું છે. ઓમાનના દરિયાકાંઠે તાજેતરમાં એક વ્યાપારી જહાજ એમ/ટી મેરિવેક્સ (M/T Marivex) પર થયેલા હુમલા બાદ ભારતે અમેરિકી રાજદ્વારીને સત્તાવાર રીતે 'ડિમર્ચ' (Demarche) એટલે કે વિરોધ પત્ર પાઠવ્યો છે. આ કાર્યવાહી દ્વારા ભારતે સમુદ્રી સુરક્ષા અને પોતાના નાગરિકોની સુરક્ષા પ્રત્યેની ચિંતા સ્પષ્ટ કરી છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, ઓમાનના કિનારે એમ/ટી મેરિવેક્સ નામના જહાજ પર હુમલો થયો હતો. આ જહાજ પલાઉના ઝંડા હેઠળ કાર્યરત હતું અને તેમાં 24 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. આ ઘટનામાં જહાજને નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના પહેલા જહાજ અને અમેરિકી નૌકાદળ (US Navy) વચ્ચે સંદેશાવ્યવહાર થયો હોવાનું સામે આવ્યું છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને ભારતે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે.

ભારતીય ક્રૂ સભ્યોની સુરક્ષા સર્વોપરી

વિદેશ મંત્રાલયે આપેલી વિગત અનુસાર, ઘટનાની જાણ થતા જ ઓમાનમાં ભારતીય દૂતાવાસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ઓમાનના સત્તાવાળાઓ સાથે સંકલન કરીને તમામ 24 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. હાલ તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને દૂતાવાસ તેમની સુખાકારી પર સતત નજર રાખી રહ્યું છે.

ડિમર્ચ એટલે શું અને ભારતનું સ્ટેન્ડ શું છે?

'ડિમર્ચ' એ રાજદ્વારી ભાષામાં એક ઔપચારિક વિરોધ નોંધાવવાની પ્રક્રિયા છે. ભારતે આ પગલું ભરીને અમેરિકાને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે:

  • સુરક્ષામાં બેદરકારી: વ્યાપારી જહાજો અને નિર્દોષ નાગરિકોને લક્ષ્ય બનાવવું તે અસ્વીકાર્ય છે.
  • ડિ-એસ્કેલેશનની માંગ: ભારતે પ્રાદેશિક તણાવ ઘટાડવા અને વાતચીત દ્વારા શાંતિ સ્થાપવા પર ભાર મૂક્યો છે.
  • મુક્ત વેપાર: સમુદ્રી માર્ગો પર મુક્ત અને સુરક્ષિત અવરજવર જળવાઈ રહે તે ભારતની પ્રાથમિકતા છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો વચ્ચે આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતીય જહાજો અને નાગરિકોની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ભારતનું આ કડક વલણ દર્શાવે છે કે સરકાર પોતાના નાગરિકોની સુરક્ષા અને સમુદ્રી વેપારની અખંડિતતા સાથે કોઈ બાંધછોડ કરવા માંગતી નથી.