France Eiffel Tower Cosed: એફિલ ટાવરને સોમવારના રોજ મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, કારણ કે, કર્મચારીઓએ વિરોધમાં કામ છોડી દીધું હતું. આક્ષેપ હતો કે, બોચાસણવાસી અક્ષર પુરુષોતમ સંસ્થા (BAPS) સાથે જોડાયેલા એક હિન્દુ ધાર્મિક ગ્રુપની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને તેમના વર્ક સ્ટેશન પરથી હટાવી દેવામાં આવી હતી.
યુરોન્યૂઝના અહેવાલ પ્રમાણે, પેરીસના આ વિખ્યાત સ્થળનું સંચાલન કરતી કંપની SETE એ જણાવ્યું કે, તેને ખાસ પરિસ્થિતિઓના લીધે બંધ કરવામાં આવ્યું હતું. આ વિરોધ BAPS હિન્દુ મુવમેન્ટ સાથે જોડાયેલા આશરે 100 લોકોની મુલાકાત બાદ થયો હતો. જેમણે વીકેન્ડ પર ફ્રાંસમાં એક નવા હિન્દુ મંદિરનું ઉદ્ધાટન કર્યું હતું.
યુનિયનના પ્રતિનિધિ ડાયને ડેવોઇને ફ્રેન્ચ ટીવીને જણાવ્યું કે, શનિવારના રોજ સમૂહના પ્રવાસ દરમિયાન ડેલિગેશન પસાર થઈ રહ્યું હતું. ત્યારે મહિલા કર્મચારીઓને તેમના વર્ક સ્ટેશન પરથી હટાવી લેવામાં આવી હતી.
એફિલ ટાવરના કર્મચારી સૂચનાઓની કરે છે નિંદા
એફિલ ટાવરના કર્મચારીઓએ તે પ્રોફેશનલ સૂચનાઓની નિંદા કરી હતી. જેના કારણે મહિલા કર્મચારીઓને તેમના જેન્ડરના આધારે બાજુમાં કરવામાં આવી અથવા તેમની જગ્યાએ બીજાને કામે લગાવવામાં આવી હતી. નહીં તો અગણવામાં આવી હતી.
SETE એ સ્વીકાર્યું કે હિન્દુ પ્રતિનિધિમંડળે મુલાકાત દરમિયાન મહિલાઓ સાથે ઓછામાં ઓછી વાતચીત કરવાની વિનંતી કરી હતી પરંતુ જણાવ્યું હતું કે આવી શરતો સ્વીકારવી જોઈએ નહીં.
કોઈપણ તકલીફ કે અસુવિધા માટે માફી - BAPS
સોમવારના રોજ સાંજે જારી કરાયલા નિવેદનમાં પેરિસના BAPS હિન્દુ મંદિરે કહ્યું કે, તેમણે આ ચિંતાઓને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને કોઇપણ તકલીફ કે અસુવિધા માટે માફી માંગી છે.
પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અમારા પ્રતિનિધિમંડળના મોટા કદને જોતાં મુલાકાત સામાન્ય ખુલવાના સમયની શરુઆતમાં જ એફિલ ટાવર ટીમ સાથે સંકલનમાં સુનિશ્ચિત કરવામાં આવી હતી. જેથી અન્ય કોઈ લોકોને મુશ્કેલી કે અસુવિધા ન થાય, અમારી જાણકારી પ્રમાણે, કોઇ પણ સમયે કોઈને પણ એફિલ ટાવરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા ન હતા. એવું કહેવામાં આવ્યું છે કે, તેઓને પરસ્પર આદર અને સેવાના સાર્વત્રિક મૂલ્યોમાં માને છે.
પેરિસના ડેપ્યુટી મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરે X પર જણાવ્યું હતું કે તેઓ એફિલ ટાવરના સ્ટાફમાં ચાલી રહેલા અશાંતિથી વાકેફ છે અને માંગણીઓને અસ્વીકાર્ય ગણાવી હતી.
BAPS સાધુઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને સંતો બ્રહ્મચર્યનું પાલન કરે છે. જેથી તેઓ મહિલાઓને સ્પર્શ કરવો, વાતચીત કરવી તેનાથી બચે છે. બીએપીએસ મંદિરોમાં મહિલાઓ અને પુરુષો માટે બેઠક વ્યવસ્થા અલગ અલગ હોય છે.
