Canada terrorist organization: ભારત સાથેના સંબંધોમાં સુધારવાને લઈને કેનેડાએ લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરી છે. કન્ઝર્વેટિવ અને NDP નેતાઓની માંગણીઓ બાદ કેનેડા સરકારે આ નિર્ણય લીધો છે.
ગયા વર્ષે, RCMPએ ભારત પર બિશ્નોઈ ગેંગનો ઉપયોગ કેનેડિયનોને, ખાસ કરીને ખાલિસ્તાન નામના અલગ શીખ રાજ્યની હિમાયત કરનારાઓને નિશાન બનાવીને હત્યાઓ અને ખંડણી ઉઘરાવવા માટે કરવાનો આરોપ મૂક્યો હતો. જોકે, ભારતે આ દાવાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે ગેંગને રોકવા માટે ઓટાવા સાથે કામ કરી રહ્યું છે.
કેનેડિયન પ્રેસ અનુસાર, સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ગવર્નન્સ ઇનોવેશનના સિનિયર ફેલો વેસ્લી વોર્કે અગાઉ કહ્યું હતું કે આતંકવાદી યાદીમાં સમાવેશ કરવાથી ગેંગ પર કાબુ મેળવવાની શક્યતા ઓછી છે, કારણ કે કેનેડાની મુખ્ય સમસ્યા ગુનાહિત ગુપ્ત માહિતી એકત્રિત કરવાની ક્ષમતાનો અભાવ છે.
આતંકવાદી સંગઠન કેમ જાહેર કરવામાં આવ્યું?
કેનેડાના જાહેર સલામતી મંત્રી ગેરી આનંદસંગરીએ જણાવ્યું હતું કે- લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ, જે ભારત અને વિદેશમાં હત્યા, ખંડણી, હથિયારો અને ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ છે તેમને કેનેડાના ક્રિમિનલ કોડ હેઠળ આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
આ પહેલ ક્યાંથી શરૂ થઈ?
કેનેડિયન સરકારના જાહેર સલામતી મંત્રી કેપુટોએ આનંદ સાંગરીને પત્ર લખીને બિશ્નોઈના વિશાળ ગુનાહિત સામ્રાજ્યનો પર્દાફાશ કર્યો. તેમણે જણાવ્યું હતું કે આ ગેંગ કેનેડિયન નાગરિકોની હત્યા અને ખંડણી માટે દોષિત છે અને રાજકીય, ધાર્મિક અને વૈચારિક કારણોસર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે બિશ્નોઈ ગેંગની પ્રવૃત્તિઓ તેને આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ કરવા માટેનું કારણ પૂરું પાડે છે.
તેઓએ કેનેડા અને વિદેશમાં વ્યાપક હિંસા માટે શ્રેય લીધો છે. કેપુટોએ બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉન સહિત ચાર અન્ય કેનેડિયન રાજકારણીઓની અપીલનો પણ ઉલ્લેખ કર્યો છે, જ્યાં કેનેડાની લગભગ 20 ટકા શીખ વસ્તી રહે છે. બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયર ડેવિડ એબી, તેમના આલ્બર્ટા સમકક્ષ, ડેનિયલ સ્મિથ અને સરેના મેયર બ્રેન્ડા લોકે પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગને તોડી પાડવાની હાકલ કરી છે.
બિશ્નોઇ ગેંગની મદદ કરવી હવે ગુનો ગણાશે
પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ કેનેડાનો નાગરિક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગેંગની મદદ કરશે કે તેની સંપત્તિથી લેવદદેવડ કરે છે તો તે ગુનાની શ્રેણીમાં આવશે.
ગત વર્ષે RCMPએ દાવો કર્યો હતો કે ભારત બિશ્નોઇ ગેંગનો ઉપયોગ કેનેડામાં હત્યાઓ માટે કરે છે, ખાસ કરીને તે લોકોને ટાર્ગેટ કરે છે જે ખાલિસ્તાનની માગનું સમર્થન કરે છે.
