તહેવારોમાં ટિકિટ નથી મળતી? રેલવેએ આપી મોટી ભેટ, આ રૂટ પર દોડશે વધુ સ્પેશિયલ ટ્રેનો!

પશ્ચિમ રેલવે દ્વારા તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને વેરાવળ-બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા ઓક્ટોબર અને નવેમ્બર 2026 સુધી વધારવામાં આવ્યા છે. 23 સપ્ટેમ્બરથી બુકિંગ શરૂ થશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 20 Sep 2026 06:15 PM (IST)Updated: Sun, 20 Sep 2026 06:15 PM (IST)
veraval-bandra-special-train-extra-trips-for-festival-season

Veraval Bandra Special Train: આગામી તહેવારોની મોસમમાં મુસાફરોની અવિરત ભીડ અને ટિકિટોની લાંબી રાહ જોવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રીઓની સુવિધાને પ્રાથમિકતા આપીને વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના સંચાલન ફેરા વધારવામાં આવ્યા છે.

સંચાલન અને સમયપત્રકની વિગતો

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, યાત્રીઓની સુવિધા ખાતર આ વિશેષ ટ્રેનો વિશેષ ભાડા પર દોડાવવામાં આવશે.

ટ્રેન નંબર 09017 (બાંદ્રા ટર્મિનસ–વેરાવળ): આ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર રવિવારે તારીખ 04 ઓક્ટોબરથી 29 નવેમ્બર, 2026 સુધી દોડશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેનના કુલ 09 વધારાના ફેરા રહેશે (તારીખો: 04, 11, 18, 25 ઓક્ટોબર અને 01, 08, 15, 22, 29 નવેમ્બર).

ટ્રેન નંબર 09018 (વેરાવળ–બાંદ્રા ટર્મિનસ): આ ટ્રેન દર સોમવારે તારીખ 05 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2026 સુધી કાર્યરત રહેશે. આના પણ કુલ 09 ફેરા રહેશે (તારીખો: 05, 12, 19, 26 ઓક્ટોબર અને 02, 09, 16, 23, 30 નવેમ્બર).

કોચની સુધારેલી રચના (Coach Composition)

યાત્રીઓની સગવડ માટે આ ટ્રેનને સુધારેલી કોચ રચના સાથે રજૂ કરવામાં આવી છે. આ ટ્રેનમાં કુલ 22 ICF કોચ રહેશે, જેમાં:

  • 3 એસી થર્ડ (AC 3-Tier) કોચ
  • 15 સ્લીપર શ્રેણીના કોચ
  • 2 જનરલ દ્વિતીય શ્રેણી (GS) કોચ
  • 2 SLRD કોચ

(નોંધ: જનરલ અને SLRD કોચ અનારક્ષિત તરીકે સંચાલિત થશે.)

બુકિંગ ક્યારે અને ક્યાંથી શરૂ થશે?

આ વિસ્તૃત ફેરાઓ માટે ટિકિટોનું આરક્ષણ આગામી 23 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 08:00 વાગ્યાથી શરૂ થઈ જશે. મુસાફરો તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ (PRS) તેમજ IRCTCની સત્તાવાર વેબસાઇટ અથવા www.enquiry.indianrail.gov.in પરથી બુકિંગ કરી શકશે.

રેલવે પ્રશાસનની અપીલ

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ તમામ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ તહેવારોની ભીડભાડથી બચવા પશ્ચિમ રેલવે દ્વારા ઉપલબ્ધ કરાયેલી આ વધારાની સુવિધાનો મહત્તમ લાભ લે. મુસાફરી કરતા પહેલા ટ્રેનના સમય અને સ્ટોપેજ અંગેની અદ્યતન માહિતી સત્તાવાર માધ્યમોથી મેળવી લેવા પણ અનુરોધ કરાયો છે.