Somnath Swabhiman Parva: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના આંગણે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના પ્રથમ દિવસે ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રોશનીથી ઝળહળતા મંદિર પરિસરમાં આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીઓ, રાજકીય મહાનુભાવો અને હજારોની સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
કલાકારોએ બોલાવી રમઝટ
સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ પોતાની કળાના કામણ પાથર્યા હતા:
- કિર્તીદાન ગઢવી, જીગરદાન ગઢવી અને ઉમેશ બારોટ: આ કલાકારોએ સોમનાથ મહાદેવની આરાધના અને ભજનો દ્વારા સનાતન ધર્મની ધરોહરને ઉજાગર કરી હતી. શિવ ભક્તિના ગીતો પર ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ઝૂમી ઉઠ્યા હતા.
- સાંઈરામ દવે: લોકસાહિત્યકાર સાંઈરામ દવેએ પોતાની આગવી શૈલીમાં સોમનાથ મંદિરની સ્થાપના, વિદેશી આક્રમણો સામે યોદ્ધાઓનું બલિદાન અને આજે પણ અડીખમ ઉભેલા આ ઐતિહાસિક મંદિરના ગૌરવશાળી ઇતિહાસની વાત કરી હતી.
દિવ્ય અને અલૌકિક વાતાવરણ
કર્ણપ્રિય સંગીત, રંગબેરંગી રોશનીથી દીપી ઉઠેલું દેવાલય અને સોમનાથ મહાદેવની દિવ્યતા વચ્ચે જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉતર્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. ભક્તિ સંગીતની સાથે સાથે ગરબાની પણ જમાવટ જોવા મળી હતી, જેમાં મંત્રીઓ અને અધિકારીઓ પણ ભક્તિભાવ સાથે જોડાયા હતા.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ પર્વમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી, ડૉ. પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરિયા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ, પૂર્વ સાંસદ મોહન કુંડારીયા તેમજ સચિવઓ અને જિલ્લા કલેક્ટર આઈ.એ. ઉપાધ્યાયે પણ હાજરી આપી કાર્યક્રમને શોભાવ્યો હતો.
