Somnath Swabhiman Parva 2026: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે ચાલી રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત દિલ્હીથી પધારેલા આશરે 1300 જેટલા ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ભોલેબાબાને ગંગાજળથી અભિષેક કરીને આરતી ઉતારીને ભક્તો ધન્ય બન્યા હતા.
ભક્તોનું વિશેષ સન્માન કરાયું
આ પાવન અવસરે, શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પધારેલા તમામ ભક્તોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને પવિત્ર ચંદન, ઉપવસ્ત્ર, અમૂલ્ય યજ્ઞ કીટ (પ્રસાદ) તેમજ પવિત્ર સોમગંગા જળ અર્પણ કરીને તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભક્તો દ્વારા એક અનોખી ભક્તિનો નજારો જોવા મળ્યો હતો.
ભાવિકોએ શિવજીની લાઈવ આરતી ઉતારી
તમામ ભક્તોએ સોમનાથ મહાદેવની એક વિશાળ LED સ્ક્રીન સમક્ષ દીવડાઓ પ્રગટાવીને ભક્તિભાવથી આરતી ઉતારી હતી. આ ઉપરાંત, પધારેલા તમામ શ્રદ્ધાળુઓએ 'સ્વાભિમાન પર્વ' પર આધારિત વિશેષ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ અને મંદિર પરિસરમાં પ્રદર્શિત થતો ઐતિહાસિક 'લાઈટ એન્ડ સાઉન્ડ શો' નિહાળીને અભિભૂત થયા હતા.
ભક્તોએ ટ્રસ્ટનો હ્રદયપૂર્વક આભાર માન્યો
દિલ્હીથી પધારેલા ભક્તોએ દર્શન અને કાર્યક્રમ કર્યા બાદ, શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી સુંદર મંદિર વ્યવસ્થાઓ, સ્વચ્છતા અને આતિથ્ય સત્કાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
