Gir Somnath: સિંહપ્રેમી પરિમલ નથવાણીના હસ્તે ગીરની આઈકોનિક સિંહ બેલડી 'જય-વીરુ'ના સન્માનમાં બેકલાઈટ બોર્ડનું અનાવરણ

જય-વીરુ ગીરના જંગલની અત્યાર સુધીની સૌથી નીડર, ભવ્ય અને અવિભાજ્ય સિંહ બેલડીઓમાં સ્થાન ધરાવતા હતા. તેઓ ગીરનું સાચું ગૌરવ હતા, અને આ સ્મૃતિ દ્વારા, અમે તેમને અમર બનાવવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 07 Jul 2026 03:42 PM (IST)Updated: Tue, 07 Jul 2026 03:58 PM (IST)
gir-somanath-news-parimal-nathwani-unveils-a-backlight-board-in-honor-of-iconic-lion-duo-jay-veeru

Gir Somnath: ગીર જંગલની સૌથી સુપ્રસિદ્ધ અને અતિપ્રિય સિંહ બેલડીને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જાણીતા સિંહપ્રેમી અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં સિંહસદન અને દેવાળીયા સફારી પાર્ક ખાતે 'જય-વીરુ'ને દર્શાવતા બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું હતું.

જય-વીરુનું આ બેકલાઇટ બોર્ડ નથવાણી તરફથી તેમના હૃદયમાં સવિશેષ સ્થાન ધરાવતા આ સિંહ બેલડીને આપેલી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે. આ પ્રસંગે વન સંરક્ષક (વાઇલ્ડલાઇફ સર્કલ, જૂનાગઢ) રામ રતન નાલા, તેમની વન અધિકારીઓની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. 

આ પહેલ વિશે જણાવતા પરિમલ નથવાણીએ જણાવ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે સાસણ ગીરની મુલાકાત લેનારા દરેક પ્રવાસી અને વન્યજીવન પ્રેમી જય-વીરુના વારસાને સારી રીતે જાણે. તે બંને ગીરના જંગલની અત્યાર સુધીની સૌથી નીડર, ભવ્ય અને અવિભાજ્ય સિંહ બેલડીઓમાં સ્થાન ધરાવતા હતા. તેઓ ગીરનું સાચું ગૌરવ હતા, અને આ સ્મૃતિ દ્વારા, અમે તેમને અમર બનાવવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.

આ સિંહજોડી સાથે જોડાયેલી પોતાની ઊંડી અંગત લાગણીઓને પણ જણાવતા તેમણે યાદ કર્યું હતું કે, તેઓ વન વિભાગના અધિકારીઓ સાથે તેમના નામકરણમાં સક્રિય રીતે સામેલ હતા – જે બાબત આ શ્રદ્ધાંજલિને ખૂબ જ ભાવનાત્મક બનાવે છે.

જય અને વીરુનો સમૃદ્ધ વારસો:

ગયા વર્ષે અન્ય સિંહો સાથે પોતાના સીમાડા માટેની અથડામણ બાદ જય અને વીરુનું દુઃખદ અવસાન થયું હતું. ગત 7 ઓગસ્ટ, 2025ના રોજ તે બંનેના મૃત્યુ પછી તુરત જ, પરિમલ નથવાણીએ 'જય-વીરુની જોડી' નામના એક ભાવનાત્મક લોક-શૈલીના ગાયન અને 'જય-વીરુની અમર ગાથા' નામની એક સંવેદનાત્મક દસ્તાવેજી રજૂ કરી હતી. આ બંને પ્રોજેક્ટ્સે બંને ડાલામથ્થાની પરસ્પરની ભાવના, અતૂટ બંધન અને અમિટ વારસાની સુંદર રીતે પ્રસ્તુતિ કરી હતી.

બોલિવૂડની યાદગાર ફિલ્મ શોલેના અમર થઈ ગયેલા પાત્રોની યાદ અપાવતા, જય અને વીરુનો વાસ્તવિક જીવનનો સંગાથ રૂપેરી પડદા પરના જય-વીરુની ઉપસ્થિતિ કરતા પણ વધુ છવાઈ ગયો હતો.

ગીરના વન્યજીવ પ્રેમીઓ અને અનુભવી ટ્રેકર્સ વારંવાર આ ભવ્ય બેલડીના અસંખ્ય સાહસોનું વર્ણન કરે છે. ક્યારેક ક્યારેક નાના-મોટા ઝઘડા અને સંઘર્ષ વચ્ચે પણ, આ બંનેનું બંધન અતૂટ રહ્યું હતું કારણ કે તેઓએ સંયુક્ત રીતે માલણકા, કેનેડીપુર, નતાડિયા, ઇટાડી અને લિમદ્રા જેવા ક્ષેત્રો પર શાસન કર્યું હતું.