Vadodara: મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ 10 દિવસ વીતી ગયા, પણ હજુ પણ એક ટ્રક બ્રિજ પર જોખમી રીતે લટકી રહ્યો છે. આ ટ્રક શિવમ રોડલાઇન્સનું હોવાનું બહાર આવ્યું છે. દુર્ઘટનાના દિવસથી આ ટ્રક એ જ જગ્યાએ જોખમી હાલતમાં અટકી ગયું છે, જે સમગ્ર ઘટનાની યાદ તાજી કરે છે.
અંકલેશ્વર સ્થિત શિવમ રોડલાઇન્સના માલિક રામાશંકર પાલે જણાવ્યું હતું કે, દસ દિવસથી આણંદ અને વડોદરાની સરકારી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યા છીએ, પણ કોઇ સહાય મળતી નથી. ક્યારેક કહે છે, હેલિકોપ્ટરથી ટ્રક ઉતારશે, તો ક્યારેક કહે છે કે, નવો બ્રિજ બનશે ત્યારે ઉતારીશું આ ટ્રક પર 30 લાખની લોન છે અને દર મહિને દોઢ લાખનો હપ્તો ભરવો પડે છે. ટ્રક ચાલશે નહીં તો હપ્તો કેવી રીતે ભરી શકાય?
આ પણ વાંચો
આ દરમિયાન તંત્ર હજુ પણ નરસિંહાપુરા ગામના વિક્રમસિંહ પઢીયારના મૃતદેહની શોધમાં રેસ્ક્યૂ કામગીરી ચલાવી રહ્યુ છે. અત્યાર સુધી 20 મૃતદેહો બહાર કાઢી લેવાયા છે. બ્રિજ તૂટ્યા બાદ સતત જવાબદારીનો અભાવ, વિભાગોની ઉડાઉ દલીલો અને તંત્રના ઠાલા વચનો સામે લોકોમાં રોષ છે. એ સમયથી લટકી રહેલી ટ્રક તેમજ ખોવાયેલા જીવોની યાદોથી દુઃખ અને ગુસ્સો આજે પણ જીવંત છે.
મારી આસપાસના વાહનો પળવારમાં મહીસાગર નદીમાં સમાઈ ગયા: ડ્રાઈવર
બીજી તરફ મૂળ ઉત્તર પ્રદેશનો જોનપુરના વતની અને હાલમાં અંકલેશ્વર ખાતે શિવમ રોડલાઈન્સમાં કામ કરતા રવિન્દ્રકુમારે ગુજરાતી જાગરણને જણાવ્યું કે, તેઓ મહિનામાં અનેક વખત આ બ્રિજ પરથી પસાર થાય છે. ગત 9 જુલાઈના રોજ હું ખાલી ટેન્કર લઈને બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ પુલ તૂટી પડ્યો હતો. આ સમયે મારી આસપાસના વાહનો પળવારમાં મહીસાગર નદીમાં સમાઈ ગયા. જો કે હું હેન્ડ બ્રેક મારીને ટેન્કરમાંથી બહાર નીકળી જતાં બચી ગયો.
જે બાદ મે મારા શેઠને ફોન કરીને જાણ કરી હતી. આ દુર્ઘટના બાદ લોકો મદદરૂપ થવાને બદલે વીડિયો ઉતારવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. મારી તંત્રને એક જ વિનંતી છે કે, ટેન્કર બહાર કાઢો
