વડોદરામાં પત્નીની હત્યા બાદ હત્યારા પતિનો ધાબા પરથી પડતું મૂકી આપઘાતનો પ્રયાસ, સાળાને ફોન કરી કહ્યું- 'અમારી લાશો લઈ જજો'

ગળું દબાવીને પત્નીની હત્યા બાદ પોલીસ ચુંગાલમાંથી બચવા માટે પતિએ આપઘાતનું નાટક કર્યું હતું. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભાંડો ફૂટતાં ગુનો કબૂલ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 03 May 2026 10:00 PM (IST)Updated: Sun, 03 May 2026 10:00 PM (IST)
vadodara-news-husband-killed-wife-and-attampt-murder-at-nandesari
HIGHLIGHTS
  • લગ્નના માત્ર 50 દિવસમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખનાર પતિ હેવાન બન્યો
  • સાળા સાથે વાત કરી ફોન સ્વિચ ઑફ કરી દીધો, ફાજલપુરની કોતરોમાંથી હત્યારો દબોચાયો

Vadodara: વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ધોળાકુવા ગામમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક નરાધમ પતિએ લગ્નના માંડ 50 દિવસમાં જ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી તેની નિર્મમ હત્યા કરી નાખી છે.

'અમારી લાશો લઈ જજો' બોલી ફોન સ્વીચ ઑફ કરી દીધો

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ખડોલ ગામના રહેવાસી જયદીપભાઈ સોલંકીની બહેન તેજલના લગ્ન ગત 12 માર્ચના રોજ ધોળાકુવા ગામના હર્ષદ ગોહિલ સાથે થયા હતા. સુખદ લગ્નજીવનની આશા સાથે તેજલ સાસરે આવી હતી. ગત 2 એપ્રિલના રોજ અચાનક હર્ષદે તેના સાળા જયદીપને ફોન કરીને 'અમારી લાશો લઈ જજો' આટલું બોલી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

આથી ગભરાયેલા પરિજનોએ તપાસ હાથ ધરતા તેજલ વાસદની એક હોસ્પિટલમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. પરિણીતાના અચાનક મોતથી શંકા જતાં પરિવારે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાનો આગ્રહ રાખ્યો હતો. પીએમ રિપોર્ટમાં તેજલનું કુદરતી મોત નહીં, પણ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

આખરે હરકતમાં આવેલી નંદેસરી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ફાજલપુરની કોતરોમાં છૂપાયેલા હર્ષદ ગોહિલ (20)ને દબોચી લીધો હતો. પોલીસ પૂછપરછમાં હર્ષદે કબૂલ્યું કે, તેને પત્ની તેજલના ચારિત્ર્ય પર શંકા હતા. જેના કારણે તે પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.

પત્નીની હત્યા કરવા બાદ આરોપીએ કાયદાની ચુંગાલમાંથી છટકવા માટે પોતે પણ ધાબા પરથી પડતુ મૂકીને આપઘાતનો પ્રયાસ કરવાનો ઢોંગ કર્યો હતો. જેથી પોલીસને લાગે કે, આ કોઈ પારિવારિક વિખવાદ કે આત્મહત્યાનો મામલો છે. જોકે, પોલીસની કડક પૂછપરછમાં તેનું જૂઠાણું ટકી શક્યું નહીં.

હાલમાં નંદેસરી પોલીસે હર્ષદ ગોહિલ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103(1) અને 85 હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.