Vadodara: સૌરાષ્ટ્રને મધ્ય ગુજરાત સાથે જોડતો ગંભીરા બ્રિજ હવે માત્ર એક તૂટેલો પુલ નથી, પણ તૂટી પડેલી સંવિધાનિક જવાબદારીનું પ્રતિક બની ગયો છે. આ દુર્ઘટનામાં આજે સારવાર દરમ્યાન વધુ એક યુવકના મોત સાથે કુલ મૃત્યુઆંક 20 પર પહોંચી ગયો છે.
હકીકતમાં આણંદ જિલ્લાના બોરસદમાં રહેતા નરેન્દ્રસિંહ પરમાર (42) ગત બુધવારના રોજ વહેલી સવારે નોકરી પરથી નાઈટ શિફ્ટ પુરી કરીને બાઈક પર ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગંભીરા બ્રિજ તૂટી પડતાં નરેન્દ્રસિંહ બાઈક સાથે 110 ફૂટ નીચે નદીમાં ખાબક્યા હતા.
આ અકસ્માતમાં નરેન્દ્રસિંહનો જીવ બચી ગયો હતો, પરંતુ ગંભીર હાલતમાં તેમને સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. આ બાબતની જાણ થતાં નરેન્દ્રસિંહના પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
બીજી તરફ આજે પણ તૂટી પડેલા બ્રિજ નીચે વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. કાદવમાં ફસાયેલા આ મૃતદેહને બહાર કાઢવા માટે SDRF અને ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી.
જણાવી દઈએ કે, આજથી બે દિવસ પહેલા વડોદરા જિલ્લાના પાદરા અને આણંદ જિલ્લાને જોડતા મહીસાગર નદી પર બનેલ ગંભીરા બ્રિજના તૂટીને બે કટકા થઈ ગયા હતા. જેમાં બે ટ્રક, એક બોલેરો જીપ સહિત ચારેક કાર મહીસાગર નદીમાં ખાબક્યા હતા. આ પુલ જર્જરિત હોવાની જાણ અધિકારીઓને પહેલાથી હોવા છતાં કોઈ પગલાં ના લેવામાં આવતા આ દુર્ઘટના ઘટી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
