Vadodara Demolition: વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યાકુતપુરા વિસ્તારમાં આવેલા મદાર મહોલ્લામાં સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે.
વડોદરા વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશન કાર્યવાહી
વડોદરા શહેરના સરસિયા તળાવ વિસ્તારમાં આવેલી સરકારી જમીન પર લાંબા સમયથી ગેરકાયદેસર રહેણાંક તથા કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યા હતા. જેને લઈને અગાઉથી જ દબાણકર્તાઓને નોટિસો આપવામાં આવી હતી. જોકે, નોટિસ આપ્યા બાદ પણ આ વિસ્તારમાંથી દબાણ ન હટાવતા હવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી, ડ્રોન દ્વારા સર્વેલન્સ
આ કાર્યવાહી દરમિયાન મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી, દબાણ દૂર કરવાની શાખા, GEB, ફાયર વિભાગ અને પોલીસનો વિશાળ કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર સંવેદનશીલ હોવાથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડ્રોન દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad Demolition Drive: વટવામાં મેગા ડિમોલિશન, 400 ગેરકાયદેસર દબાણો પર ફર્યું બુલડોઝર
આ કાર્યવાહીમાં 2 DCP, 5 ACP, 8 PI, 16 PSI અને આશરે 180 જેટલા SRP અને પોલીસ જવાનોનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સતત પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે. DCP કક્ષાના અધિકારીઓ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા છે.
કોમર્શિયલ અને રહેણાંક બાંધકામ સામે કાર્યવાહી
પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ કુલ 38 યુનિટ સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આશરે 50 ટકા જેટલા કોમર્શિયલ યુનિટ અને બાકીના રહેણાંક બાંધકામનો સમાવેશ થાય છે. હાલ પ્રથમ તબક્કામાં કોમર્શિયલ દબાણોને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અને અનેક યુનિટોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.
સરસિયા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ
આ બાબતે એડી. પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલે જણાવ્યું કે, સરસિયા તળાવના ચાંદ ટેકરી વિસ્તારમાં આવેલી સરકારી જમીન પર પાકાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા. તેને કાયદાકીય પ્રક્રિયા મુજબ તોડી પાડવામાં આવી રહ્યા છે. પોલીસની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે.
30 વર્ષથી ચાલતું દબાણ, અગાઉ આપી હતી નોટિસ
પ્રાંત અધિકારી બી. એસ. સાંબળેએ જણાવ્યું કે, આ બિન-નંબરી સરકારી જમીન પર વર્ષ 1995 થી ગેરકાયદેસર બાંધકામ અંગેની પ્રક્રિયા ચાલી રહી હતી. અગાઉ હુકમો પણ થઈ ચૂક્યા હતા, જેની અમલવારી આજે કરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન ધાર્મિક દેરીઓ અને નાના મંદિરો પણ આવેલાં હોવાનું તેમણે જણાવ્યું.
