વડાપ્રધાને કર્યા વડોદરાવાસીઓના ભરપેટ વખાણ, વાંચો PM મોદીના સંબોધનના મુખ્ય અંશ

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં વડોદરાના નાગરિકોની સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ બિરદાવી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 08 Sep 2026 02:38 PM (IST)Updated: Tue, 08 Sep 2026 02:38 PM (IST)
pm-modi-vadodara-visit-and-speech-dedicated-freight-corridor-swachhata-campaign
PM Modi Vadodara Speech

PM Modi Vadodara Speech: વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય જનસભાને સંબોધિત કરી દેશના વિકાસને ગતિ આપતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. પોતાના સંબોધનમાં તેમણે વડોદરાના નાગરિકોની સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ બિરદાવવાની સાથે રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવેલી ક્રાંતિ અને ભવિષ્યની ટેકનોલોજી અંગે સરકારના વિઝનની વિગતવાર ચર્ચા કરી હતી.

વડોદરાના નાગરિકોની સ્વચ્છતા ઝુંબેશની પ્રશંસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાના નાગરિકો દ્વારા 'સ્વચ્છતાથી સ્વાગત' અભિયાન ચલાવીને સમગ્ર શહેરને ભવ્ય રીતે સજાવવા બદલ હૃદયપૂર્વક બિરદાવ્યા હતા. વડાપ્રધાન ઉમેર્યું હતું કે, ગણેશોત્સવ અને નવરાત્રી પૂર્વે વડોદરાના નાગરિકોનો આ ઉત્સાહ જોઈને મારું હૈયું ગર્વથી પ્રફુલિત થઈ ગયું છે.

ઐતિહાસિક ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું (DFC) લોકાર્પણ

વડાપ્રધાને દેશભરમાં 2800 કિલોમીટરથી વધુ લાંબા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટ પૂર્ણ થવા પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે અગાઉની સરકારોની ઢીલી નીતિઓ પર કટાક્ષ કરતા જણાવ્યું કે, વર્ષ 2004 થી 2014 સુધી આ યોજના માત્ર ફાઈલોમાં જ અટવાયેલી રહી હતી અને 1 કિલોમીટરનું કામ પણ થયું નહોતું, જ્યારે તેમની સરકારે તેને વાસ્તવિકતામાં બદલી બતાવી છે.

પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે ક્રાંતિ

આ કોરિડોર શરૂ થવાથી માલગાડીઓની ઝડપ બમણી થઈ જશે અને માલસામાન વહન કરવાનો સમય અડધો થઈ જશે. તાજેતરમાં જ JNPT મુંબઈથી વડોદરા સુધી ચલાવવામાં આવેલી 'ડબલ સ્ટેક કન્ટેનર' માલગાડીથી એક જ ફેરામાં આશરે 250 થી વધુ ટ્રકો જેટલો માલસામાન વહન કરી શકાયો છે. જેનાથી ઈંધણ, પર્યાવરણ અને સમયની મોટી બચત થઈ રહી છે.

વડોદરા: એજ્યુકેશન અને મેન્યુફેક્ચરિંગનું હબ

વડોદરા છેલ્લા આશરે 150 વર્ષથી શિક્ષણ અને કૌશલ્યનું કેન્દ્ર રહ્યું છે. દાયકાઓ પહેલા શરૂ થયેલી ટેક્સટાઇલ અને પેટ્રોકેમિકલ્સની યાત્રા બાદ આજે વડોદરા દેશના સૌપ્રથમ મેડ ઈન ઈન્ડિયા લશ્કરી પરિવહન વિમાન (મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ) C295 ના ઉત્પાદન સાથે ગર્વભેર આકાશ આંબી રહ્યું છે.

ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં મોટો ઉછાળો

વર્ષ 2014 પછી રેલવે સેક્ટરમાં ભારે કામગીરી થઈ છે. ભારતે આશરે 5000 આધુનિક રેલવે કોચ અને 2.5 લાખથી વધુ વેગન (માલગાડીના ડબ્બા) સ્વદેશી રીતે તૈયાર કરીને રેલવેમાં જોડ્યા છે.

Artificial Intelligence - AI પર વિશેષ ભાર

નવી પેઢીને કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ (AI) ના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે તૈયાર કરવા અને ખેતી, સ્વાસ્થ્ય તેમજ રોબોટિક્સ ક્ષેત્રે નવા સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે સરકાર ટૂંક સમયમાં જ એક પ્રચંડ રાષ્ટ્રીય અભિયાન શરૂ કરશે.

વડોદરાવાસીઓને સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ

છેલ્લે વડાપ્રધાને વડોદરાના લોકોને પોતાની આગવી ગુજરાતી શૈલીમાં પૂછ્યું હતું કે, "તમે આટલી મહેનતથી વડોદરાને આટલું સુંદર બનાવ્યું છે, તો આપણે તેને ફરી ક્યારેય ગંદુ થવા દઈશું નહીં તેવો સંકલ્પ લઈએ." આ સંકલ્પથી આપણી દિવાળી, નવરાત્રી અને ગણેશોત્સવ ચકાચક અને શાનદાર જશે તેવી ખાતરી વ્યક્ત કરી વક્તવ્ય પૂરું કર્યું હતું.