Surendranagar: સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ ખૂબ જ બેફામ બન્યા છે. સુરેન્દ્રનગર જિલ્લો ખનિજ સંપન્ન હોવાથી ખનિજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનિજનું ખનન કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગરના ચોરાવીરા ગામે ગેરકાયદેસર ખનન ખનિજ વિભાગે ઝડપી પાડ્યું હતું. ખનિજ વિભાગને તપાસ દરમિયાન બે કુવાઓમાંથી કાર્બોસેલનું ખોદકામ મળી આવતા આશરે 1 કરોડ અને 10 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ચોરાવીરા ગામે ગેરકાયદેસર ખનિજનું ખનન
ખનીજ વિભાગ દ્વારા સુરેન્દ્રનગરનાં ચોરાવીરા ગામની સીમમાં તપાસ કાર્યવાહી કરી હતી. ટીમને કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન મળી આવ્યુ હતું. ખનિજ વિભાગે કાર્યવાહી કરતા બે ડમ્પર, એક કૂવામાંથી લોખંડના પાઈપો, એક બકેટ ઉપરાંત લોડર કબ્જે કર્યું હતું. ઉપરાંત એક ડમ્પરમાં આશરે 15 મેટ્રિકલ ટન જેટલો કાર્બોસેલ ખનીજનો જથ્થો મળી આવ્યો હતો.ઉપરાંત ખનિજ વિભાગની ટીમને એક અન્ય ડમ્પરમાંથી 60 મેટ્રિક ટનનો જથ્થો મળ્યો હતો.
ખનીજ વિભાગે મુદ્દામાલ કબ્જે કર્યો
ખનીજ વિભાગની ટીમે સમગ્ર મુદ્દામાલ અને ખનીજ સહિત આશરે 1 કરોડ અને 10 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. અને મુદ્દામાલ સીઝ કરીને બહુમાળી ભવન ખાતે રાખવામાં આવ્યો હતો. તેમજ તપાસ ટીમના સર્વેયરો દ્વારા કુવાની માપણી પણ કરવામાં આવી હતી. આવી કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
