Surendranagar News: આજકાલ નાના બાળકોમાં મોબાઈલ અને ગેમ્સનું વળગણ વધું જોવા મળે છે. આવાં મોબાઈલ એડિક્ટ બાળકો વચ્ચે સુરેન્દ્રનગરના જશમપુરનો 5 વર્ષીય દર્શન સૌથી અલગ તરી આવે છે અને દરેક માટે ઉદાહરણરૂપ છે. આ બાળકને સતસંગી દીક્ષાના 250 શ્લોક કંઠસ્થ છે અને મોબાઈલ-ટીવી જોવાની પણ ટેવ નથી. આ ઉપરાંત બહારની કોઈ વસ્તુ ખાવાની ટેવ પણ નથી.
દર્શનની માતા નિકિતાબેને જણાવ્યા મુજબ, મારો પાંચ વર્ષનો દીકરો દર્શન સ્કૂલમાં અભ્યાસ કરે છે. તે સમજવા શીખ્યો ત્યારથી તેને મેં ધર્મજ્ઞાન પીરસવાનું શરૂ કર્યું હતું. દરરોજ સવારે અને સાંજે તેને અમારી સાથે સ્વામિનારાયણના મંદિરે લઈ જતા હતા. આ સાથે દર્શન ઘરે પારંપારિક ભારતીય વસ્ત્રોમાં પૂજા પણ કરતો હતો. મારા દીકરાને સતસંગ દીક્ષાના 250 શ્લોક કંઠસ્થ છે.
તેમણે વધુમાં કહ્યું કે, મારો દીકરો સ્કૂલમાં ભણવાની સાથે ભગવાનની ભક્તિમાં પૂરતું ધ્યાન આપે છે. મારા બાળકને મોબાઈલ-ટીવી જોવાની ટેવ નથી અને બહારનું કોઈ ફૂડ પણ ખાતો નથી. આ ઉપરાંત વર્ષે રામનવમી, જન્માષ્ઠમી, દેવઉઠી અગિયારસ, દેવપોઢી અગિયારસ અને જળ ઝીલની અગીયારસ જેવા પાંચ તહેવારના દિવસે નિર્જળા ઉપવાસ પણ કરે છે.
