Surendranagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા, મૂળી અને વઢવાણ તાલુકાના 45 ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા 417 કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે.
આ 3 તાલુકાના 45 ગામોને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કોઈ પણ બ્રાન્ચ કેનાલ મારફતે આયોજનમાં આવરી લેવાયેલ જળસ્રોતોને સિંચાઈના પાણીનો લાભ મળતો નહતો.
આ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ, ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓ ઉપરાંત સ્થાનિક અગ્રણીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જેનો મુખ્યમંત્રી દ્વારા સકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે.
મુખ્યમંત્રીએ નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફિટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના આ 45 ગામોને પાઈપલાઈનથી પાણી આપવાની યોજના માટે રૂપિયા 417 કરોડને વહીવટી મંજૂરી આપી છે. આ યોજના દ્વારા ધ્રાંગધ્રા, વઢવાણ અને મૂળી ત્રણેય તાલુકાના 45 ગામોના તળાવ, સીમતળાવ, ચેકડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવશે. જેના પરિણામ સ્વરૂપે અંદાજે 3055 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ બનશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
