Surat News: સુરત શહેરનાં ઉત્રાણ વિસ્તારમાં એક નવજાત શિશુ મૃત અવસ્થામાં મળી આવ્યાની આઘાતજનક ઘટના સામે આવી છે. ઉત્રાણ વિસ્તારમાં કોઈ અજાણી વ્યક્તિ મૃત અવસ્થામાં નવજાતને ત્યજી દઈને ફરાર થઈ ગયો હતો. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ ઉત્રાણ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ઉત્રાણ નજીક એક ખેતરમાં મૃત નવજાત મળ્યું
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, ઉત્રાણ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કઠોર ગામ સ્થિત માન સરોવર સોસાયટી પાસે એક ખેતર આવેલું છે. ખેતીકામ કરતાં લોકોને ખેતરના શેઢામાંથી એક મૃત નવજાત બાળક મળી આવ્યું હતું. આ ઘટના અંગે ઉત્રાણ પોલીસને જાણ કરવામાં આવી તેથી ઉત્રાણ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃત નવજાતને કબ્જે લઈને પીએમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો
આ સમગ્ર મામલે ઉત્રાણ પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણી વ્યક્તિ બદનામીથી બચવા કે તેનો જન્મ છુપાવવા ખેતરના શેઢા પાસે ત્યજી દીધું હતું. સમગ્ર મામલે પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી છે, તેમજ કઠોર, ઉત્રાણ અને કામરેજ નજીકના ખાનગી અને સરકારી હોસ્પિટલો અને પ્રસૂતિગૃહોનો ડિલિવરી રેકોર્ડ મંગાવીને માતાની શોધખોળ હાથ ધરી છે.
