Surat News: દશેરાના પાવન પર્વ નિમિતે સુરત પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શસ્ત્ર પૂજન કર્યું હતું. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહીત સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અધર્મ પર ધર્મના વિજયના પર્વ વિજયા દશમી પર શસ્ત્ર પૂજનનું ખુબ જ મહત્વ છે ત્યારે આજે દશેરાના પાવન પર્વ પર સુરત પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ હેડ ક્વોટરના કોમ્યુનિટી હોલમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શસ્ત્ર પૂજન કર્યું હતું. આ પ્રસંગે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરત પોલીસ પાસે રહેલા અલગ અલગ શસ્ત્રો અને અત્યારની ટેકનોલોજીના ડ્રોનની પણ પૂજા કરવામાં આવી હતી.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક દશેરાના પર્વની આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ, ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય, દશેરાનો આ પર્વ નિમિતે ગુજરાત પોલીસના તમામ યુનિટોમાં આજે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય છે.
આજે સુરત પોલીસ આયોજિત આ શસ્ત્ર પૂજનમાં ભાગ લીધો છે, વર્ષો જુના શસ્ત્રોથી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સજ્જ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રો અહી નજરે પડે છે, આર્મ્સ વેપન હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજીને પહોચી વળવાના ઈન્સ્ટુમેન્ટ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત હોય આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્રો છે અને એ શસ્ત્રોનું આજે અહી પૂજન કરવામાં આવ્યું હતું.
