Surat: શહેરના રાંદેર વિસ્તારમાં ગણેશ મંદિર નજીક એક બિનવારસી સૂટકેસ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઉપરાંત બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમણે સૂટકેસને સલામત સ્થળે લઈ જઈને ચકાસણી કરતાં વાંધાજનક વસ્તુ ના મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
દેશની રાજધાની દિલ્હીમાં કારમાં બ્લાસ્ટની ઘટનાના પગલે પોલીસ એલર્ટ મોડમાં છે. સુરત શહેરમાં પણ પોલીસ દ્વારા સઘન વાહન અને હોટલોમાં ચેકિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં આજે રાંદેર રોડ પર ગણેશ મંદિર પાસે બિન વારસી હાલતમાં સૂટકેસ મળી આવી હતી.
બીજી તરફ ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ સ્ટેશનના PI આર. જે. ચૌધરી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. આ ઉપરાંત બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને સ્નિફર ડોગ્સની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. સૂટકેસની ચકાસણી બાદ શંકાસ્પદ ન જણાતા તેને સુરક્ષિત સ્થળે ખુલ્લા મેદાનમાં લઇ જવામાં આવી હતી જ્યાં સૂટકેસ ખોલતા તે ખાલી મળી આવી હતી.
રાંદેર પીઆઇ આર.જે ચૌધરીએ જણાવ્યું હતું કે, રાંદેર મેઈન રોડ પાલનપુર પાટિયા પાસે રાતના સમયથી જ શંકાસ્પદ બેગ પડી રહી હતી, જે પોલીસના ધ્યાને આવતા કંટ્રોલને જાણ કરી હતી અને BDDS અને ડોગ સ્કવોડને બોલાવવામાં આવી હતી. બેગને સલામતી ખાતે BDDSના સાધનો અને સ્નીફર ડોગથી ચેક કરવામાં આવ્યું હતું. કોઈ શંકાસ્પદ જણાઈ આવ્યું નહતું.
આમ છતાં પણ બેગને સલામત જગ્યા ખુલ્લા મેદાનમાં લાવીને સાધનો વડે બેગને ઓપન કરવામાં આવી હતી બેગ ખાલી મળી આવી હતી કોઈ ચીજ વસ્તુઓ મળી આવી નથી.
