Surat News: કામરેજના ગલતેશ્વર મંદિરની પાછળ તાપી નદીમાં ન્હાવા પડેલા 3 યુવકો ડૂબ્યા, 1નું મોત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 22 Jun 2023 07:17 PM (IST)Updated: Thu, 22 Jun 2023 07:18 PM (IST)
surat-news-three-drown-while-taking-bath-in-tapi-river

સુરત.
સુરત જિલ્લાના ટીમ્બા ગામની સીમમાં આવેલા ગલતેશ્વર મંદિરની પાછળ આવેલી તાપી નદીમાં ન્હાવા પડેલા સુરતના 3 યુવાનો ડૂબી ગયા હતા. આ દરમિયાન બૂમાબૂમ થતા સ્થાનિક માછીમારોએ 3 પૈકી બે યુવકોને બચાવી લીધા હતા, જયારે એક 18 વર્ષીય યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા તેનું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના ડિંડોલી ખરવાસા રોડ પર રહેતા રમાકાંતભાઈ રાધેશ્યામ દુબે (48) શાકભાજીના વેપારી છે. તેઓનો 18 વર્ષીય પુત્ર પિયુષ વરાછા ખાતે રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.

ગત 21 જૂનના રોજ પિયુષ તેના મિત્રો ચંદ્રેશ, અભિષેક, નીતિશ સાથે કામરેજ ખાતે આવેલા ગલતેશ્વર મંદિરમાં સ્વિમિંગ પુલમાં ન્હાવા ગયા હતા. જો કે સ્વિમિંગ પુલ બંધ હોવાથી ચારેય મિત્રો મંદિરની બાજુમાંથી પસાર થતી તાપી નદીમાં ન્હાવા પડ્યા હતા.

જ્યાં પિયુષ, અભિષેક અને ચંદ્રેશ ત્રણેય જણા નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા, જેથી બુમાબુમ થતા સ્થાનિક માછીમારો ત્યાં આવી ગયા હતા અને ચંદ્રેશ અને અભિષેકને બચાવી લીધા હતા, જયારે પિયુષ ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.

બીજી તરફ બનાવની જાણ થતા પિયુષનો પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતા. જયારે પોલીસ અને ફાયર વિભાગે ઘટના સ્થળે આવીને પિયુષની નદીમાં શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન આજે પિયુષની લાશ તાપી નદીમાંથી મળી આવી હતી. પિયુષના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. હાલ તો પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.