Surat: સુરતમાં 10 વર્ષની બાળકી બેભાન થયા બાદ મોતને ભેટી હોવાનો બનાવ સામે આવ્યો છે. એકની એક દીકરીનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
મૂળ ધંધુકાના વતની ઈકબાલ ખલિફા શહેરના વરિયાવ ગામે પરિવાર સાથે રહે છે. જેઓ મામલતદાર કચેરીમાં ઑપરેટર તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઈકબાલ ખલિફાના બે સંતાનો પૈકી તમન્ના પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. જે બેભાન થયા બાદ મોતને ભેટી છે.
આ અંગે બાળકીના પિતા ઈકબાલ ખલિફાએ જણાવ્યું કે, ગઈકાલે મારી દીકરી ટ્યુશનમાં ગઈ હતી. જ્યાંથી ટ્યુશન ટીચરનો ફોન આવ્યો હતો કે, તમારી દીકરી બેભાન થઈ ગઈ છે. આથી તેની મમ્મી તેને લેવા માટે ગઈ હતી. જ્યાંથી દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં રાતે 11 કલાકે તબીબોએ તમન્નાને મૃત જાહેર કરી હતી.
સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં અમને જાણવા મળ્યું છે કે, ખેંચ આવી કે કોઈ રીતે પડી ગઈ હશે. જેથી માથાના પાછળના ભાગે વાગ્યું હોવાથી લોહી જામી જતાં આ બનાવ બન્યો છે.
