Surat News: ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે સામાન્ય નાગરિકની સાથે સાધુ-સંતોએ પણ પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ(વેડરોડ)ના સંતોએ સામૂહિક મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવી હતી.
સંતોએ મતદાન કરીને ફરજ નિભાવી
વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ બુથમાં મતદાન કરનાર શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, જે દેશમાં આપણે રહીએ છીએ, તેના પ્રશાસનિક મૂલ્યોને અનુસરવાની આપણી પવિત્ર ફરજ છે. દેશની લોકશાહીને મજબૂત બનાવવી, મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવુ એ પણ એક ભક્તિ જ છે.
જે ધરતીનું અન્ન ખાઈ આપણે મોટા થયા છીએ, તે ધરતીની પ્રગતિમાં શક્ય એટલો સહયોગ આપવો એ આપણું પ્રથમ કર્તવ્ય છે. રાષ્ટ્રની પ્રગતિમાં અને સુરક્ષામાં જ આપણી અને ધર્મની પ્રગતિ અને સુરક્ષા છે. રાષ્ટ્રની પ્રગતિનું પ્રથમ શ્રેષ્ઠ પગલું યોગ્ય વ્યક્તિને મતદાન કરવું છે.
મતદાન કરવું પવિત્ર ફરજ છે
પ્રભુ સ્વામીએ કહ્યું કે, જેમ જગતમાં અન્નદાન, ભૂમિદાન, ગૌદાન કે કન્યાદાનનો મહિમા છે, તેથી પણ સવાયો મહિમા લોકશાહીમાં દેશ હિતમાં મતદાન કરવાનો છે. અવશ્ય મતદાન કરવું એ નાગરિક તરીકે આપણી પવિત્ર ફરજ છે. માતૃભૂમિનું ઋણ ચૂકવવાનો અમૂલ્ય અવસર એટલે મતદાન, ઉનાળાનો સમય છે. ત્યારે થોડો તાપ સહન કરીને લાઈનમાં ઉભા રહીને પવિત્ર મત આપીએ.
