Surat News: સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક વખત પત્ર લખીને રજૂઆત કરી છે. આ વખતે તેઓએ સુરત કલેકટરને પત્ર લખ્યો છે જેમાં આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે.
ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત કલેકટરને લખેલા પત્રમાં રજૂઆત કરી હતી કે હાલમાં જ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નું પરિણામ આવેલ હોય, વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે એડમિશન મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં કરવાની હોય છે.
આ માટે વિદ્યાર્થીઓને જાતિનું પ્રમાણપત્ર તેમજ આવકના દાખલાની જરૂરિયાત ઉભી થતી હોય છે. પરંતુ હાલમાં સેન્ટરો પર ખુબ મોટી સંખ્યામાં લોકો રાત્રે 2 વાગ્યાથી દાખલા કઢાવવા માટે લાંબી લાઈનો ઉભા રહે છે. પરંતુ લાઈનમાં ઉભા રહેતા લોકોને સીમિત સંખ્યામાં ટોકન આપવામાં આવે છે.બાકીના લોકોને કાયમી આ રીતે હેરાન થાય છે.
એજન્ટો દ્વારા ઓપરેટરો સાથે સાંઠ-ગાઠ કરી પૈસા લઇ 2 જ કલાકમાં દાખલાઓ કાઢી આપવામાં આવે છે. દર વર્ષે ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવ્યા પછી આવી પરિસ્થિતિ ઉભી થાય છે. જેનો બોધપાઠ લઇ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર થયા પહેલા વિદ્યાથીઓને સમયસર દાખલાઓ મળી રહે તેના માટે તંત્ર દ્વારા અગાઉથી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી મારી માંગણી છે.