Surat: સુરત શહેરના ઉધના સ્થિત ભાજપ કાર્યાલયમાં છૂટા હાથની મારામારીની ઘટના સામે આવી છે. જેમાં ભાજપના કાર્યકર્તા અને પાર્ટીના ખજાનચી વચ્ચે થયેલી માથાકૂટના અંતે ઉશ્કેરાયેલા કાર્યકર્તાએ ખજાનચીને લાફા ઝીંકી દીધા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઉધના સ્થિત ભાજપના કાર્યાલય ખાતે પાર્ટીના કાર્યકર્તા દિનેશ સાવલિયા અને ખજાનચી શૈલેષ જરીવાલા વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. આ સમયે કાર્યાલયમાં ઉપસ્થિત અન્ય કાર્યકરો પણ ચોંકી ઉઠ્યા હતા.
પ્રાથમિક માહિતી પ્રમાણે, કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલય પર આવ્યા હતા. જ્યાં ચા-નાસ્તાને લઈને દિનેશ સાવલિયા અને પટ્ટાવાળા વચ્ચે માથાકૂટ થઈ હતી. આ મામલે પટ્ટાવાળાએ ખજાનચીને ફરિયાદ કરી હતી.
જે બાદ કાર્યકર્તા દિનેશ સાવલિયા અને ખજાનચી શૈલેષ જરીવાલા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મામલો ઉગ્ર બનતા શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને ધક્કો માર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા દિનેશ સાવલિયાએ પણ ખજાનચી શૈલૈષ જરીવાલાને તમાચા ચોડી દીધા હતા. આ સમયે કાર્યાલયમાં ઉપસ્થિત અન્ય લોકોએ વચ્ચે પડીને બન્નેને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રોષે ભરાયેલ કાર્યકર્તાએ ખજાનચીને મા-બહેનની ગાળો ભાંડી હતી.
કામરેજના બાબરિયા પરિવારે સ્વર્ગસ્થ મોભીનું નેત્રદાન કરી માનવતાનું ઉદાહરણ પુરું પાડ્યું
મૂળ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વાડાસડા ગામના અને હાલ સુરતના કામરેજ ગામની કુમકુમ રેસીડેન્સી ખાતે નિવાસ કરતા સ્વ. રાજેશભાઈ ફુલાભાઈ બાબરિયા (55)ના અવસાન બાદ પરિવારજનોએ ઉમદા નિર્ણય લીધો હતો. સ્વ.બાબરિયાના પરિવારજનોએ પત્ની મીનાબેન, મોટો દીકરો હિરેન, નાનો દીકરો ભૌતિક, તેમજ પુત્રી સ્વાતી હાર્દિક રાખોલીયાએ રોટરી ક્લબ ઓફ સુરત ડાયમંડ સિટીના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ ગોંડલિયાની સમજના કારણે નેત્રદાન કરવાનો સંકલ્પ લીધો હતો.
બાબરિયા પરિવાર તરફથી કરવામાં આવેલ આ પવિત્ર કાર્યને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (ચોર્યાસી બ્રાન્ચ), રોટરી ક્લબ ઓફ સુરત ડાયમંડ સિટી, અને લોકદૃષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.
ડો.પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કે, લોકોને નેત્રદાતા, દેહદાતા અને અંગદાતા બનવા માટે પ્રેરિત થવું જોઈએ. કાળી કીકીના કારણે અંધત્વ ભોગવતા લોકોને ફરી દ્રષ્ટિવંત બનાવવા સૌ સેતુ બની માનવતાના કાર્યમાં સહયોગ આપે તો ભારત કોર્નિયલ અંધત્વ મુક્ત બની શકે.” બાબરિયા પરિવારના આ પ્રેરક ખ્યાલને અનુસરી અન્ય પરિવારો પણ નેત્રદાન, દેહદાન અને અંગદાન કરે, તો માનવતા માટેનો આ અભિયાન વધુ વેગ પામશે અને અનેક જરૂરિયાતમંદ લોકોને નવી દ્રષ્ટિ મળશે.
