Surat News: સુરત જિલ્લાના માંડવીના ચોરાંબા અને લાડકૂવા ગામમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે. બે ગામમાં બાળકો સહિત 6 જેટલા લોકોને શ્વાને બચકાં ભરતા લોકોને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી.
સુરત જિલ્લાના માંડવીના ચોરાંબા અને લાડકૂવા ગામે રખડતા હડકાયા શ્વાનોનો આતંક સામે આવ્યો છે. હડકાયા શ્વાને 7 અને 13 વર્ષનાં બે બાળક, યુવાન અને વૃદ્ધોને શિકાર બનાવ્યા હતા. માંડવી ઝંખવાવ રોડ ઉપર આવેલા ચોરાંબા ગામના ત્રણ વ્યક્તિને હડકવા કૂતરાએ બચકાં ભર્યાં હતાં.
પ્રજ્ઞાબેન પુનિતભાઈ ચૌધરી (ઉં.વ.21), રાજેશભાઈ સરાધિયાભાઈ ચૌધરી (ઉં.વ.28) અને ટાંગજીભાઈ સરદાભાઈ ચૌધરી (ઉં.વ.70), જ્યારે લાડવા ગામના છગનભાઈ ભંગણાભાઈ ચૌધરી (ઉં.વ.65), જિનલ સંદીપભાઈ ચૌધરી (ઉં.વ.7) અને નીતિન રસિકભાઈ ચૌધરી (ઉં.વ.13)ને હડકાયા કૂતરાએ બચકાં ભરતાં માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે ચાર વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી હતી.
ઝંખવાવ રેફરલ ખાતે બે વ્યક્તિ સારવાર હેઠળ ખસેડાયા હતા. બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. આ બનાવ અંગેની જાણ થતાં ચોરાંબા ગામના સરપંચ જશવંતભાઈ ચૌધરી તથા હાલના સરપંચ એસોસિએશન પ્રમુખ કમલેશભાઈ ચૌધરી સહિત ગ્રામજનો પણ રેફરલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા.
ચોરાંબા અને લાડકૂવા ગામ એકબીજાથી દોઢ કિલોમીટરના અંતરે આવેલાં છે. જ્યાં ગત મોડી સાંજે કૂતરું કરડવાની ઘટનાને પગલે બંને ગામોમાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકો હકડાયા કૂતરાને શોધવા માટે નીકળી પડ્યા હતા. અને મોડી રાત સુધી શોધખોળ કરી હતી.
