Surat News: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ, નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ ગેટ પાસે અને પાર્કિંગ નજીક અંદાજે રૂ. 3.60 કરોડના ખર્ચે આ નવીન સુવિધાનું નિર્માણ થવા જઈ રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન પોસ્ટમોર્ટમ રૂમનું ખાતમૂહુર્ત સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટ, ઈન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામા, RMO ડો.કેતન નાયક, આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ઈકબાલ કડીવાલાના વરદ હસ્તે કરાયું હતું.
PM રુમ આધુનિક સુવિધાઓથી સુસજ્જ હશે
આ નવું ભવન સુરત અને દક્ષિણ ગુજરાતના ફોરેન્સિક-તબીબી ક્ષેત્રે તપાસ અને શૈક્ષણિક પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે. આ અદ્યતન સંકુલમાં મેડિકલ ગાઈડલાઈન્સ અનુસાર સુવિધાયુક્ત તબીબી રૂમ, લેક્ચર હોલ, ફોરેન્સિક એક્સપર્ટ્સ માટેની ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. ઉલ્લેખનીય છે કે, અહીં જટિલ કેસોના PM (પોસ્ટમોર્ટમ) માટે બહારથી પણ ફોરેન્સિક એક્સપર્ટ્સ આવતા હોય છે. જેમના માટે આ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ આશીર્વાદરૂપ સાબિત થશે.
વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ માટે ઉપયોગી બનશે
આ નવા અદ્યતન સેન્ટરમાં એકસાથે 250થી વધુ MBBS વિદ્યાર્થીઓને પોસ્ટમોર્ટમ પ્રક્રિયા નિહાળવાની તક મળશે. વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત, પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે આ સેન્ટર સંશોધન અર્થે ખૂબ ઉપયોગી સાબિત થશે. જ્યાં જટિલ કેસોના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે તમામ અદ્યતન સંસાધનો ઉપલબ્ધ કરાશે. તેમજ, સંવેદનશીલ કિસ્સાઓમાં મૃતદેહના એક્સ-રેની જરૂરિયાતના કાયમી ઉકેલ રૂપે અહીં વિશેષ ‘પોસ્ટમોર્ટમ એક્સ-રે’ સુવિધા પણ શરૂ કરવામાં આવશે.
ખાતમુહૂર્તમાં તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત
આ અવસરે RMO ડો.કેતન નાયક, આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ઈકબાલ કડીવાલા, ફોરેન્સિક વિભાગના વડા ડો.ચંદ્રેશ ટેલર, PIU વિભાગના એન્જિનિયર તુષાર પટેલ સહિત સિવિલના તબીબો, ફોરેન્સિક વિભાગના નિષ્ણાતો અને મેડિકલ ઓફિસરો, નર્સિંગ સ્ટાફ ખાતમુહૂર્ત વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા.
